Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

સુરત જિલ્લાના 757 ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટરમાં પાકને નુકશાન :તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહીનો સર્વે

૩૩૭૫ હેકટર ડાંગર, ૪૨૫ હેકટર મગ, ૩૩૮ હેકટર તલ, ૩૧ હેકટર મગફળી, પાંચ હેકટર અડદ, એક હેકટર જુવાર, ચાર હેકટર બાજરી અને મકાઈના પાકોમાં નુકશાન થયું

સુરતઃ‘તૌકતે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય સહાય સત્વરે મળી રહે, તે માટે જિલ્લામાં 41 ટીમો બનાવીને તાબડતોડ 5 દિવસમાં નુક્સાનનો સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. Crop Damage In Surat

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે જણાવ્યું કે, સુરત જિલ્લામાં ડાંગર, કેળ, પપૈયા, મગ, તલ, આંબા અને શાકભાજીના પાકોમાં થયેલા નુક્સાન સંદર્ભે ૧૫૨૪૪ હેકટર અસરગ્રસ્ત વાવેતર વિસ્તારની સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

જિલ્લાના સુરત સિટી તાલુકા સહિત ૧૦ તાલુકાઓના ૭૫૭ ગામોમાં ૩૩ ટકા લેખે ૫૮૨૬ હેકટર વિસ્તારમાં નુક્સાન થયું છે. જે પૈકી ૪૧૮૫ ખેતીવાડી તથા ૧૬૪૧ હેકટર બાગાયતી વિસ્તાર મળી ૫૮૨૬ હેકટર વિસ્તારમાં ૩૩ ટકા લેખે નુક્સાનગ્રસ્ત થયા છે.

સમગ્ર જિલ્લાની ૩૩ ટકાથી વધુ નુક્સાનગ્રસ્ત હેકટર વિસ્તારની વિગતો જોઈએ તો, બારડોલી તાલુકામાં ૮૬ ગામોના ૪૦૪ ખેડૂતોની ૨૭૯ હેકટર, ચોર્યાસીમાં ૨૯ ગામોના ૨૮૯ ખેડૂતોની ૨૯૮ હેકટર વિસ્તાર, કામરેજ તાલુકાના ૫૯ ગામોના ૧૧૬૭ ખેડૂતોની ૭૫૭ હેકટર, મહુવા તાલુકામાં ૬૯ ગામોની ૭૬૨ ખેડૂતોની ૪૦૫ હેકટર, માંડવી તાલુકામાં ૧૩૩ ગામોના ૭૬૮ ખેડૂતોની ૪૦૮ હેકટર, માંગરોળના ૯૨ ગામોની ૫૫૦ ખેડૂતોની ૪૮૯ હેકટર, ઓલપાડ તાલુકાની ૯૯ ગામોના ૨૮૧૯ ખેડૂતોની ૨૭૬૪ હેકટર, પલસાણાના ૪૬ ગામોના ૨૦૦ ખેડૂતોની ૨૪૪ હેકટર, ઉમરપાડા તાલુકાના ૬૩ ગામોના ચાર ખેડૂતોની ૨.૨ હેકટર તથા સુરત સીટી વિસ્તારમાં ૮૧ ગામોના ૧૮૦ ખેડૂતોની ૧૭૭ હેકટર જેટલા વિસ્તારોમાં નુક્શાન થયું છે

જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે વધુમાં ૩૩ ટકા લેખે નુકશાનગ્રસ્ત ખેતીપાકોની માહિતી આપણા જણાવ્યું કે, ૩૩૭૫ હેકટર ડાંગર, ૪૨૫ હેકટર મગ, ૩૩૮ હેકટર તલ, ૩૧ હેકટર મગફળી, પાંચ હેકટર અડદ, એક હેકટર જુવાર, ચાર હેકટર બાજરી અને મકાઈના પાકોમાં નુકશાન થયું છે.

નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ જણાવ્યું કે, જિલ્લામાં કેળ, પપૈયા, શાકભાજી અને આંબાના ૭૦૩૧ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૩ ટકા લેખે ૧૬૪૧ હેકટર વિસ્તારના ૧૭૭૯ ખેડુતોને નુકશાન થયું છે. વિગતે જોઈએ તો, કેળમાં ૭૭૯ હેકટર, પપૈયામાં ૨૯.૭૦ હેકટર, શાકભાજીમાં ૪૨૦ હેકટર, આંબામાં ૪૧૧ હેકટર વિસ્તારમાં નુકશાનગ્રસ્ત થયા છે. ખેડુતોને સત્વરે વળતર મળી રહે તે માટે બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસના ટુંકાગાળામાં નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.

(6:39 pm IST)