Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

કોરોના બાદ ગેંગ્રીન થવાના કિસ્સા વધ્યાઃ કાપવા પડી રહ્યા છે દર્દીઓના હાથ-પગ

કોરોના વાયરસ બાદ દર્દીઓના મ્યૂકોરમાઈકોસિસ, હાર્ટ અટેક કે સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે : એવામાં હવે ગેંગ્રીન થયાના અનેક કેસો પણ સામે આવી રહ્યા છે : હાથ-પગ, આંગળીઓ કે અંગૂઠામાં અતિશય દુઃખાવો ગેંગ્રીનનું લક્ષણ છે

અમદાવાદ,તા.૨૪: કોરોનાના કારણે દર્દીઓમાં ઘણાં કોમ્પ્લિકેશન જોવા મળી રહ્યા છે. હવે નિષ્ણાતોએ નોંધ્યું છે કે, આ દર્દીઓ પર ગેંગ્રીન (શરીરના કોઈ ભાગમાં થયેલો સડો) થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. કોરોનાથી સાજા થઈને ઘરે આવેલા દર્દીઓને હાર્ટ અટેક આવ્યો હોય તેવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે. કોરોનાને મહાત આપી ચૂકેલા સ્વજનને હાર્ટ અટેકના કારણે અનેક પરિવારોએ ગુમાવ્યા છે. કોરોના વાયરસના કારણે લાંબા સમય સુધી હાયપર કોએગ્યુલેશન (થીજવા કે ઘટ્ટ થવાની પ્રક્રિયા) થતાં દર્દીઓને બ્રેન સ્ટ્રોક આવે છે અને પેરાલિસિસ થયાના કેસ પણ ઘણાં છે.

હવે નિષ્ણાતોએ નોંધ્યું છે કે, દર્દીઓના હાથ અને પગની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે જેના કારણે ગેંગ્રીનના કિસ્સા વધી રહ્યા છે. કેટલાય દાખલા છે જેમાં લોહીના ગઠ્ઠાની યોગ્ય સમયે સારવાર ન થતાં દર્દીઓને જે-તે અંગ ગુમાવું પડ્યું છે.

ઉત્ત્।ર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામના રહેવાસી ૨૬ વર્ષીય હિરજી લુહારને હાલમાં જ ગેંગ્રીનના કારણે ડાબો પગ કપાવો પડ્યો છે. 'આ દર્દીને બે અઠવાડિયા પહેલા કોરોના થયો હતો અને ઘરે રહીને જ તે સાજો થઈ ગયો હતો. જેના થોડા સમય બાદ તેને ડાબા પગના પંજામાં અતિશય દુઃખાવો થવા લાગ્યો અને બાદમાં પેરાલિસિસ થયો હોય એ પ્રકારે સુન્ન પડી ગયો હતો. પગના પંજાનો રંગ બદલાવા લાગ્યો અને પરિવારે ત્રણ દિવસ બાદ અમારો સંપર્ક કર્યો ત્યારે પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું. છેવટે હિરજી લુહારનો જીવ બચાવા માટે અમારે તેનો પગ કાપવો પડ્યો હતો, તેમ અમદાવાદના વેસ્કયુલર સર્જન ડો. મનીષ રાવલે જણાવ્યું.

ડો. રાવલના કહેવા પ્રમાણે, કોરોનાની સાથે હાયપર કોએગ્યુલેશન અને હાયપર ઈન્ફ્લેમેશન (દાહ સાથે સોજો) જેવા કોમ્પ્લિકેશન તો થાય છે પરંતુ હાલ બીજી લહેરમાં દર્દીના અંગમાં થ્રોમ્બોસિસ (રકતવાહિની કે અંગમાં લોહી ગંઠાવું)ની ગંભીર પરિસ્થિતિના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

'છેલ્લા દોઢ મહિનામાં ૧૦ બેડની નાની હોસ્પિટલમાં મેં હાથપગની રકતવાહિનીઓમાં થ્રોમ્બોસિસના ૪૦-૫૦ કેસ જોયા છે અને તેમાંથી ૧૦ના તો અંગ કાપવા પડ્યા હતા. જેનું કારણ આ વખતે કોરોનાના કેસોમાં આવેલો અભૂતપૂર્વ વધારો હોઈ શકે છે. આવા લગભગ ૮૦ ટકા કિસ્સાઓ ગ્રામ્ય વિસ્તારોના છે. શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની અપૂરતી સુવિધાઓ આ માટે જવાબદાર હોઈ શકે છે. હાયપર કલોટિંગ અને હાયપર ઈન્ફ્લેમેશનની જાણકારી આપતાં ડી-ડાયમર અને CRP જેવા બ્લડ પેરામીટરના ટેસ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ શકતા નથી', તેમ ડો. રાવલે ઉમેર્યું.

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં શનિવારે ડો. અશોક ગુજ્જરે બે દર્દીઓના અંગ કાપવા માટે ઓપરેશન કર્યા હતા. 'ગોધરાના ૫૦ વર્ષીય દર્દીના થાપાથી નીચેનો પગ કાપવો પડ્યો હતો. આ દર્દી ૨૦ દિવસથી કોરોના સંક્રમિત હતા. સાતમા દિવસે પગના પંજામાંથી શરૂ થયેલું થ્રોમ્બોસિસ ઝડપથી ફેલાવા લાગ્યું અને પેટના નીચેના ભાગ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે તાત્કાલિક સર્જરી કરવી પડી', તેમ જનરલ સર્જન ડો. અશોક ગુજ્જરે કહ્યું.

બીજા કેસની વાત કરતાં ડો. ગુજ્જરે જણાવ્યું, 'ગેંગ્રીન થઈ જતાં ૫૫ વર્ષીય મહિલા દર્દીનો અડધો પંજો કાપવો પડ્યો હતો. તેમણે સમયસર ઓપરેશન કરાવી લેતાં રકતાવાહિનીઓ સાફ કરી શકાઈ અને તેમનું અંગ બચાવી લેવાયું છે.'

જાણીતા વેસ્કયુલર સર્જન ડો. રાજેશ હૈદરાબાદીએના કહેવા અનુસાર બીજી લહેરમાં આવા કિસ્સા વધારે સંખ્યામાં જોવા મળી રહ્યા છે. તેમણે આ મુદ્દે સમજણ આપતા કહ્યું, જયારે ગઠ્ઠાના કારણે હૃદયની રકતવાહિની અવરોધાય છે ત્યારે હાર્ટ અટેક આવે છે. મગજમાં આ પરિસ્થિતિ થાય ત્યારે બ્રેન સ્ટ્રોક આવે છે. આ જ પ્રકારે જયારે હાથ અને પગની રકતવાહિનીમાં લોહીનો ગઠ્ઠો થાય છે ત્યારે થ્રોમ્બોસિસની સ્થિતિ ઉદ્બવે છે.

'જો દર્દીઓ સમયસર આવી જાય તો ઓપરેશન દ્વારા લોહીના ગઠ્ઠા દૂર કરી શકાય છે અને તેના માટે એન્ડોવેસ્કયુલર પ્રક્રિયા પણ કરી શકાય છે. જોકે, એક વખત લોહીનો પુરવઠો અટકી જાય પછી દર્દીએ ૨૪થી ૩૬ કલાકમાં મેડિકલ હેલ્પ લઈ લેવી જોઈએ જેથી ગેંગ્રીન થતું રોકી શકાય. આ પરિસ્થિતિ ના થાય તે માટે લક્ષણો ઓળખવા અને મદદ લેવી જરૂરી છે', તેમ ડો. હેદરાબાદીએ ઉમેર્યું.

લક્ષણો ઓળખો

. હાથ-પગ, આંગળીઓ કે અંગૂઠામાં અતિશય દુઃખાવો.

. દુઃખાવા બાદ અંગમાં વિચિત્ર પ્રકારની ઝણઝણાટી કે સોય ભોંકાતી હોય તેવું લાગવું.

. પલ્સલેસનેસ

. આંગળી કે અંગૂઠાનો રંગ બદલાઈને સફેદ અથવા વાદળી થઈ જવો. આ ખૂબ ગંભીર લક્ષણ છે અને અહીંથી તાત્કાલિક ડોકટરની મદદ લેવી જોઈએ.

કોને જોખમ વધારે છે?

. વયોવૃદ્ઘ

.ભૂતકાળમાં ધૂમ્રપાન કર્યું હોય તેવા લોકો

. અગાઉ સ્ટ્રોક આવી ચૂકયો હોય તેમને

.કોરોના સંક્રમણ અને ત્યારબાદ ઉદ્બવેલું હાયપર કલોટિંગ અને ઈન્ફ્લેમેશન

. લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય તેવી સ્થિતિ.

(10:06 am IST)