Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કાતિલ ગરમી વચ્ચે શહેરમાં તાપમાન વધ્યુ : લોકો હેરાન

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૨ : ગરમીના લીધે જનજીવન પર અસર થઈ : રસ્તા સુમસામ

અમદાવાદ,તા.૨૪ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. પારો ૪૨થી ઉપર પહોંચી ગયો છે. આજે અમદાવાદ ઉપરાંત કડંલા એરપોર્ટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પારો ૪૨થી ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલ મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી સુધી રહી શકે છે.  આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. અમદાવાદમાં આજે પારો ૪૨.૨ સુધી પહોંચતા બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. હાલમાં હવામાનમાં પલટા વચ્ચે કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ થયો હતો. ગરમીમાં હજુ કોઇ ઘટાડો થવાના  સંકેતો નથી. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. બીજી બાજુ જનજીવન ઉપર પણ આની સીધી અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાતા તેની ચર્ચા લોકોમાં રહી હતી. બીજી બાજુ તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૨, સુરેન્દ્રનગરમાં ૪૨, કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૨ ખાતે પોરા પહોંચ્યો હતો. રાજકોટમાં પણ પારો ૪૧થી ઉપર રહ્યો હતો.

(9:45 pm IST)