Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના મહામારીને નાથવા માટે પ્રોએક્ટિવ એપ્રોચ જરૂરી બન્યો

રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનની વિડિયો કોન્ફરન્સ : ગુજરાતમાં કોરોનાને રોકવા ગુજરાત સરકારે લીધેલ વિવિધ પગલાઓ અંગે નીતિન પટેલે માહિતી આપી : પ્રોએક્ટિવ ટેસ્ટિંગથી ગુજરાતમાં કેસમાં વધારો

અમદાવાદ, તા. ૨૪ : કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને દેશમાં કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે વાયરસના સંક્રમણને રોકવા માટે જુદા જુદા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે વાતચીત કરી હતી. સાથે સાથે રાજ્ય સરકારોએ લીધેલા પગલાઓ અંગે માહિતી પણ મેળવી હતી. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ વાતચીત યોજાઈ હતી જેમાં જરૂરી માર્ગદર્શન પણ હર્ષવર્ધને આપ્યું હતું. રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, સુરતમાં પ્રોએક્ટિવ ટેસ્ટિંગના પરિણામ સ્વરુપે કેસોની સંખ્યામાં વધારો થયો છે. ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો છેલ્લા ચારેક મહિનાથી જે રીતે દિન-રાત સતત મહેનત કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે અને દેશને સંક્રમણના ત્રીજા તબક્કામાં પહોચવાથી બચાવી શક્યા છીએ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

           તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં વધુ તકલીફ છે ત્યા કેન્દ્રની ટીમો મોકલીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે તેનો પણ મહત્તમ સહયોગ લઈને સહિયારા પ્રયાસો કરીએ. દેશમાં ખાનગી અને સરકારી મળી કુલ ૩૫૦ કોવિદ ટેસ્ટીગ લેબ ઉપલબ્ધ છે જેના દ્વારા ૫.૫૦ લાખથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે.લૉક ડાઉન નો ચુસ્તપણે અમલ કરાવવા ભારપૂર્વક અનુરોધ કરતા તેમણે ઉમેર્યુ કે કોરોના વોરિયર્સ પર ના હુમલા સંદર્ભે પણ જાગૃતિ કેળવીએ તથા આરોગ્ય કર્મીઓ માટે રૂ.૫૦ લાખનુ વીમા કવચ પણ પુરૂ પાડવામાં આવ્યુ છે.તેમણે કોવિદ ની સાથે સાથે અન્ય રોગો પણ દેશમાં પ્રસરે નહિ એ માટે પૂરતી તકેદારી રાખવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાવાયરસ ને સંક્રમણમાં ગુજરાત બીજા ક્રમે છે તે અંગે અમે સૌ ચિંતિત છીએ અને એટલે જ  અમે પ્રોએકટીવલી કામ કરી રહ્યા છીએ અમદાવાદ અને સુરત શહેરમાં સંક્રમણનું પ્રમાણ ડબલ રેટમાં જોવા મળી રહ્યું છે

          તેનું મુખ્ય ને મુખ્ય કારણ રાજ્ય સરકારે છેલ્લા અઠવાડિયામાં વધારે ટેસ્ટીંગની એગ્રેસીવ પોલીસી દ્વારા ક્લસ્ટર વિસ્તારમાં કરી છે તેના પરિણામે છે.રાજ્ય સરકારે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૪૨,૩૮૪ ટેસ્ટ કર્યા છે જેમાં ૨૬૨૪ કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામને સારવાર સહિતની આઈસોલેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.રાજયમાં કોવિદ ને લગતી ડેઝીગ્નેટેડ હોસ્પિટલો,વેન્ટીલેટર તથા અન્ય સાધન સામગ્રી પણ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાયબ મુખ્ય મંત્રીએ,રાજ્યના શહેરો અને નગરોમાં સેમ્પલ એકત્રિત કરવા માટે આરોગ્ય કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે તેમને પણ સંક્રમણ ની અસર થઇ છે તેજ રીતે લોક ડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ કર્મીઓ પણ ખડેપગે ફરજ અદા કરી રહ્યા છે તેમને પણ સંક્રમણ ની અસર થઇ છે ત્યારે આરોગ્ય કર્મીઓ અને પોલીસ કર્મીઓને પણ ફરજના સ્થળે પીપીઈ કીટ, અન્ય સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તે અંગે માર્ગદર્શન માગ્યું હતુ.

(8:58 pm IST)