Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતમાં સસ્‍તા અનાજની ૧૦૧ દુકાનધારકો પોતાની સલામતીને પ્રાથમિકતા આપીને અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા

સુરત: સુરતમાં કોરોનાના ફફડાટ વચ્ચે રેશનિંગની દુકાનો બંધ રહેતા નોટિસ મોકલવામાં આવી છે. સસ્તા અનાજની દુકાનદારો સલામતીને પ્રાથમિકતા આપીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેથી 101 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ દુકાનદારો પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આવામાં Lockdownના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે.

કુલ 101 સરકારી સસ્તા અનાજની દુકાન બંધ રહી

લોકડાઉનમાં મજૂરોની અને ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની હતી. આ કારણે સરકારે તેઓ માટે મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી. જ્યાં સરકાર દ્વારા અનાજ વિતરણની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. એન.એફ.એસ.એ apl-૧ તેમજ અન્ય બ્રહ્મા યોજના અને બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું હતું. પરંતુ આવામાં દુકાનદારો, તોલાદ અને ડિલિવરી કરનાર કોન્ટ્રાક્ટર પણ કોરોનાના ઝપેટમાં આવી જતા તેઓમાં રોષ જોવા મળ્યો છે. જેને કારણે તેઓએ બાદમાં હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતમાં ઘણા દુકાનદારોએ દુકાનો બંધ રાખીને અનાજ વિતરણ નહીં કરતા ગ્રાહકોની ફરિયાદો ઉઠી હતી. જે તપાસમાં ચોક બજારની 55 નાનપુરાની 45 અને કતારગામની એક મળી કુલ 101 સરકારી સસ્તા અનાજની દુકાન બંધ રહી હતી. તમામને મામલતદારે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ

લોકડાઉન વચ્ચે આજે સુરતમાં ફરી સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. વેડરોડ વિસ્તાર પર હજ્જારોની સંખ્યામાં લોકો રાશન લેવા ભેગા થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ તથા કેટલાક લોકો માસ્ક વગર પણ ફરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં આજે કોરોના પોઝિટિવ મહિલાનું મોત નિપજ્યું છે. 53 વર્ષીય સવિતાબેન નાગરનું મોત થયું છે. 22મી એપ્રિલે સવિતાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ નવી સિવિલમાં તેમની સારવાર ચાલી રહી હતી. WHOની ગાઈડલાઈન મુજબ તેમની અંતિમવિધિ કરાઈ. હવે સુરત શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 14 થયો છે.

(4:28 pm IST)