Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઉમરેઠ નજીક રતનપુર પાસેથી પસાર થતી કેનાલમાં એક્ટિવા સ્લીપ થતા નહેરમાં પડવાથી માતા-પુત્રીના મોત

ઉમરેઠ: નજીક આવેલા રતનપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગઈકાલે સાંજના સુમારે એક્ટિવા સ્લીપ ખાઈને નહેરમાં પડતા માતા-પુત્રીના ડુબી જવાને કારણે મોત થયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


ઉમરેઠ પોલીસના જણાવ્યા અનુસાર ઉમરેઠ તાલુકાના મેઘવા ગામે રહેતા દર્શનાબેન રૂપેશભાઈ પટેલ (ઉ. વ. ૩૫)ગઈકાલે પોતાની પુત્રી માનસી (ઉ. વ. ૧૨)ને પોતાના એક્ટિવા ઉપર બેસાડીને ભરોડા ગામે પિયરમાં ગયા હતા. ત્યાંથી સાંજના સુમારે એક્ટિવા પર પરત આવી રહ્યા હતા ત્યારે રતનપુરા નહેર ઉપર સામેથી આવતા કોઈ વાહનથી અંજાઈ જતાં એક્ટિવા ચાલક દર્શનાબેનનું સંતુલન ના રહેતા સ્લીપ ખાઈ ગયું હતુ જેમાં પુત્રી માનસી નહેરમાં પડતાં માતા દર્શનાબેને તેણીને બચાવવાનો પ્રયત્ન કરતા બન્ને જણાં ડૂબી જવા પામ્યા હતા.

ઘટનાની જાણ સવારે ઉમરેઠ પોલીસને થતાં જ ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં માનસીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે દર્શનાબેનની હજી સુધી કોઈ ભાળ મળી નથી. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 

(6:20 pm IST)