Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

2020થી ત્રણ વર્ષ માટે એટલે કે 2023 સુધી બ્‍લેક લિસ્‍ટ થયેલ ડેલ્‍ફ કન્‍સલટીંગ એન્‍જીનિયર્સ કંપનીને કેવી રીતે ડિઝાઇનીંગનો કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો ? અમદાવાદમાં બ્રિજ ધરાશાયી પ્રકરણમાં ઉઠતા સવાલ

અમદાવાદમાં જે કંપની દ્વારા બ્રિજ તૈયાર કરાયો તે કંપની રાજકોટમાં પણ વિવાદમાં

અમદાવાદ: શહેરમાં 21 ડિસેમ્બરની મોડી રાત્રે અમદાવાદના SP રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો. ત્યારબાદ ઔડાની ટીમે સ્થળ પર દોડી જઈને બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણોની સમીક્ષા કરી છે. પરંતુ જ્યારે આ મુદ્દે વધુ તપાસ થઈ થઈ ત્યારે એક મોટો ખુલાસો થયો છે.

બોપલથી શાંતિપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજની ડિઝાઇન કરનારી કંપની અંગે કેટલાંક તથ્યો સામે આવતા તંત્ર પર કેટલાક સવાલો ઉભા થયા છે. આ નિર્માણાધીન બ્રિજની ડિઝાઈનની કામગીરી ડેલ્ફ કન્સ્લટિંગ એજીનિયર્સને અપાઇ હતી. પરંતુ વર્ષ 2020માં સરકાર દ્વારા અન્ય એક કામમાં બેદરકારી દાખવવા બદલ આ કંપનીને બ્લેકલીસ્ટ કરાઈ હતી. એટલું જ નહીં, 2018માં સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ ડેલ્ફ કન્સ્લટિંગ એજીનિયર્સને રૂ.33.51 લાખનો સરકારે દંડ કર્યો હતો. ખેડામાં નદી પરના બ્રિજના કામમાં બેદરકારી બદલ બ્લેકલીસ્ટ કરાઇ હતી. હવે મોટો સવાલ તે ઉભો થાય છે કે જો 3 વર્ષ માટે આ કંપનીને બ્લેકલીસ્ટ કરાઇ હતી, તો કોણા ઇશારે તેને આ બ્રીજનો કોન્ટ્રાક્ટ મળ્યો?

હાલ અનેક મોટા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે, અને વતુર્ળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 2020થી ત્રણ વર્ષ માટે એટલે કે 2023 સુધી બ્લેકલિસ્ટ થયેલી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને કેવી રીતે ડિઝાઈનિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો? જે કંપનીને સમયસર કામ ન પૂરા કરવા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવતી હોય અને દંડ ફટકારવા સુધીની કડક કાર્યવાહી કરવી પડતી હોય તે કંપનીને કોના ઈશારે કોન્ટ્રાક્ટ મળ્યો?

રાજકોટમાં 4 કામમાં બિલ્ડકોન કંપની તૈયાર કરી રહી છે બ્રિજ

નોંધનીય છે કે, અમદાવાદમાં જે કંપની દ્વારા બ્રિજ તૈયાર કરાયો તે કંપની રાજકોટમાં પણ વિવાદમાં આવી છે. રાજકોટમાં 4 બ્રિજના કામ બિલ્ડકોન કંપની તૈયાર કરી રહી છે. રણજિત બિલ્ડકોનને RMC દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં રૂપિયા 70 કરોડ ઓન ચુકવણી છતાં બ્રિજનું કામ 50 ટકા પણ પૂરું થયું નથી. આવું એક જગ્યાએ નથી. રાજકોટ બીજા ચાર બ્રિજ બની રહ્યા છે, જેમાં કેકેવી હોલ ચોક, જડ્ડુસ બ્રિજ, નાનામૌવા બ્રિજ અને રામદેવપીર ચોકનો સમાવેશ થાય છે. પરંતુ ગોકળગાય ગતિએ ચાલતા બ્રિજને લઈને નોટિસ પાઠવવામાં આવી છે, તેમ છતાં સવાલ ઉભો થાય છે કે મનપા હજુ સુધી કેમ કોઈ આકરી કાર્યવાહી કરતી નથી? મનપા હજુ પેનલ્ટી ફટકારવા મુહૂર્ત કઢાવી રહી છે? નબળી કામગીરીથી અને ઢીલાશથી રાજકોટની 17 લાખથી વધારે પ્રજાને રોજ હાલાકી ભોગવવી પડે છે.

શું છે સમગ્ર મામલો?

21મી ડિસેમ્બરે બરાબર 10.24 વાગે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરનો એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હતો. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં SP રિંગરોડ પર થ્રી લેયર બ્રિજની કામગીરી રણજીત બિલ્ડકોનને સોંપવામાં આવી છે અને તેની ડિઝાઈન ડેલ્ફ કન્સ્લટિંગ એજીનિયર્સને અપાઇ હતી. પરંતુ 21મી ડિસેમ્બરે મોડી સાંજે બોક્સ ગર્ડરના કેબલનું સ્ટ્રેસિંગ પૂર્ણ કરી રીલિઝ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બોક્સ ગર્ડરનો ગાળો અચાનક તૂટીને નીચે પડ્યો હતો.

નોંધનીય છે કે, એસ.પી. રિંગરોડ ઉપર મુમદપુરા જંક્શન ખાતે થ્રી લેયર બ્રિજની લંબાઈ 853 મીટર છે. જેમાં 112 પ્રી-કાસ્ટ RCC ગર્ડર તેમજ બે RCC બોક્સ ગર્ડર મળીને કુલ 114 પૈકી 113 ગર્ડરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

(4:27 pm IST)