Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મુંબઇ - અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એકસપ્રેસ ટ્રેન હવે ગાંધીનગર સુધી જશે

ગાંધીનગરના લોકો માટે સારા સમાચાર ! વાઇબ્રન્ટ સમિટ અગાઉ પશ્ચિમ રેલવેએ લીધો મહત્વનો નિર્ણય : હવે મુંબઇ જતી શતાબ્દી એકસપ્રેસ અમદાવાદથી નહીં પણ ગાંધીનગરથી ઉપડશે

નવી દિલ્હી તા. ૨૩ : ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક નિર્ણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી સેન્ટ્રલ શતાબ્દી એકસપ્રેસ હવે ગાંધીનગરથી ઉપડશે અને ગાંધીનગર સુધી જશે. ઉલ્લેખનીય છે કે મુંબઈથી ઉપડતી આ ટ્રેન પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન સુધી આવતી હતી, પરંતુ હવે તે આગળ ગાંધીનગર સુધી જશે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવાર એટલે કે ૨૪મી ડિસેમ્બરથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. શુક્રવારથી ટ્રેન ગાંધીનગર સુધી જવાની શરૂઆત કરશે. સવારે ૬.૧૦ વાગ્યે શતાબ્દી એકસપ્રેસ મુંબઈથી નીકળશે અને બપોરે ૧૨.૨૨ વાગ્યે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. આ ટ્રેન ૧૨.૩૭ના સુમારે અમદાવાદથી ગાંધીનગર જવા નીકળશે અને ૧.૪૦ની આસપાસ ગાંધીનર પહોંચી જશે. પહેલા આ ટ્રેન મુંબઈથી સવારે ૬.૪૦એ નીકળતી હતી અને ૧૨.૫૫એ અમદાવાદ પહોંચી જતી હતી.

આ જ પ્રકારે ટ્રેન ગાંધીનગરથી બપોરે ૨.૨૦ વાગ્યે નીકળશે અને ૩.૦૫ સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી જશે. ટ્રેન મુંબઈ સ્ટેશન ૯.૪૫એ પહોંચશે. અગાઉ ટ્રેન અમદાવાદથી ૨.૫૦એ ઉપડતી હતી અને ૯.૨૦ સુધીમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેતી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, લોકલ ટ્રેન સિવાય શતાબ્દી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડતી પાંચમી ટ્રેન હશે. આ પહેલા ઈન્દોર જતી શાંતિ એકસપ્રેસ હરિદ્વાર જતી યોગા એકસપ્રેસ, વારાણસી જતી GNC BSB SPL, અમદાવાદ થઈને દિલ્હીથી મુંબઈ જતી ગરીબરથ ટ્રેન ગાંધીનગર સ્ટેશન પર રોકાતી હતી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મોટી સંખ્યામાં મહેમાનો અન્ય રાજયોમાંથી આવતા હોય છે. એક અધિકારી જણાવે છે કે, વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા મુંબઈથી આવતા મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સમયે ટ્રેનનો રૂટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.

(10:45 am IST)