News of Tuesday, 23rd November 2021
અમદાવાદ :નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે નાગરીકોને આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે.
મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુ વિગતો આપતા કહ્યુ કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. તેને કેન્દ્ર સરકાર દ્ધારા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે.
મંત્રીએ ઉમેર્યુ કે દેશમાં સૌપ્રથમવાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં ૧૦૮ દ્ધારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦૦૦૦/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫૦૦૦ તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્ધારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦૦૦૦નું ભાડૂ નિયત કરવામાં આવ્યુ છે.
રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરાઈ છે. એ જ રીતે નાગરીકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, સાબરમતી રીવરફ્રન્ટ , સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ, અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારને સહાય માટે રજુઆત કરાઈ છે. રાજ્યને બે સી-પ્લેન મળે એ માટે રાજ્યને આર્થિક સહાય મળી રહે એ માટે અપીલ કરાઈ છે. આગામી સમયમાં પાઈલોટ પ્રજોકેટ તરીકે સાબરમતિ રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યુ કે ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપને સત્વરે શરૂ કરાય તે માટે જમીન સોપણી માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજુરી માંગવામાં આવી છે. ઉપરાંત કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા રજુઆત કરાઈ હતી. સાથે સાથે રાજ્યમાં કાર્યરત ૯ એરપોર્ટ અને ૩ એરસ્ટ્રીપ પર ટ્રાફીક વધી રહ્યો છે તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યુ કે અમદાવાદ રન વેના મરામતની કામગીરી આગામી તા.૩જી થી શરૂ થવાની હતી તે સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાને લઈ આ કામગીરી આગામી ૨૦મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત કરાતા આ કામગીરી પણ ૨૦મી જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્ધારા પણ હકારાત્મક નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.