Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અમરાઇવાડી બેઠકની પેટા ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યોઃ ૪૦થ વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

ગાંધીનગર :ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોબરે યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ દરેક મતવિસ્તારમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારોને ટિકીટ ફાળવશે તેના પર સૌની નજર છે. જેમાં રાધનપુર અને બાયડ બેઠક હાલ બંને પક્ષો માટે મહત્વની ગણાઈ રહી છે. ત્યારે બીજી તરફ, અમરાઈવાડી બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કુલ 40થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

હસમુખ પટેલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સાસદ બનતાં આ સીટ ખાલી પડી હતી. જેની 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. હાલ આ બેઠક માટે ભાજપના 40થી વધુ ઉમેદવારો પોતાની દાવેદારી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે તેવુ કહી શકાય. જેમાં સૌથી વધુ દાવેદારો પટેલ સમાજના છે. સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ પાટીદાર ઉમેદવારને ટીકિટ ફાળવતી હોય છે. પરંતુ આ વખતે મહિલા મોરચાએ પણ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ શહેરની 16માંથી એક પણ વિધાનસભા બેઠક પર હાલ મહિલા ધારાસભ્ય નથી. તેમજ શહેરની 3 લોકસભા બેઠક પર પણ કોઈ મહિલાને ટિકીટ મળી ન હતી. ત્યારે આ વખતે વિધાનસભાની ટિકીટ મહિલા ઉમેદવારને આપવા માંગ ઉઠી છે.

અમરાઇવાડી બેઠક

વર્ષ 1962માં અમરાઇવાડી વિઘાનસભાનુ કોઇ અસ્તિત્વ ન હતું. એ સમયે અમદાવાદ શહેરમાં માત્ર 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં સાબરમતી એલિસબ્રિજ, દરિયાપુર-કાઝીપુર, અસારવા, જમાલપુર ખાડીયા, દરીયાપુર, શહેરકોટડા અને ગોમતીપુરનો સમાવેશ થતો હતો. 1967 અને 1972માં કાંકરીયા બેઠક અસ્તિત્વમાં આવી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ કરાયો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો.

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જેમાં 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 1 ઓક્ટોબરે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 3 ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, 21 ઓક્ટોબરે મતદાન અને તેના બાદ 24 ઓક્ટોબરે મતગણતરી થશે.

(4:40 pm IST)