Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આણંદ નજીક માલગાડીની હડફેટે શખ્સના કમકમાટી ભર્યા મોતથી અરેરાટી

આણંદ:પંથકમાં આવેલ રેલવે લાઈન પર એક અપમૃત્યુની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનામાં એક ઈસમ ધસમસતી માલગાડીની ટક્કર વાગતા સ્થળ પર કમકમાટીભર્યા મોતને ભેટયો હતો. અથડાયેલ ઈસમના પાટા નજીક બે કટકા થઈ જતા આસપાસના વિસ્તારમાં અરેરાંટી ફેલાઈ હતી. આ ઘટના સંદર્ભે આણંદ રેલવે પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસ હાથધરી હતી. મરણજનાર યુવાન નજીક આવેલ ઝુપડપટ્ટીમાં રહેતો હોવાથી તેના મૃતેદહને પોસ્ટમોર્ટમ બાદ પરીવારજનોને સોંપાયો હતો.

આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે બપોરના સુમારે આણંદ રેલવે મથકના યાર્ડ નજીક એક અપમૃત્યુની ઘટનાએ અરેરાંટી ફેલવી હતી. આ રેલવે મથક નજીક આવેલ ઝુપડપટ્ટીમાં રહેતો શંકર ડુંગરભાઈ વસાવા ઉ.વ.૩૫ જે ગઈ કાલે બપોરના સુમારે રેલવે ટ્રેક ક્રોસ કરી જઈ રહ્યો હતો. આ સમયે સામેથી આવતી ધસમસતી માલગાડીની ટક્કર વાગતી હતી.
આ ટક્કર વાગતા જ તે પાટા પર પટકાયો હતો જેથી માલગાડીના વ્હીલ તેના શરીર પર ફરી વળતા તેના શરીરના બે કટકા થઈ જવા પામ્યા હતા. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ મરણજનારના મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. ઘટના સર્જાતા તેની ઓળખ થઈ ન હતી. પરંતુ તે તેના ઘરે ન પહોંચતા તેના વાલી વારસો રેલવે મથકે આવી પહોંચતા તેની ઓળખ થઈ હોવાની માહિતી પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી.

(4:44 pm IST)