News of Friday, 23rd March 2018
અમદાવાદઃ કાળી ગામ વિસ્તારના છારાનગરમાં રહેતા બુટલેગરને પોલીસે ઢોર માર મારતા બેભાન થઇ જતા તાત્કાલીક પોલીસ વાનમાં જ હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ગઇ કાલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના સંજયકુમાર પશાજી તેમજ અન્ય સ્ટાફને બાતમી મળી હતી કે કાળીગામ વિસ્તારમાં આવેલ છારાનગરમાં રહેતો સુનીલ છારા નામનો બુટલેગર કલોલની આસપાસ આવેલ ગામડાંમાં દેશી દારૂ લેવા ગયો છે.
દેશી દારૂ લઇ એક્ટિવા પર ચેનપુર ફાટકથી કાળીગામ તરફ આવવાનો હોવાથી ડી સ્ટાફના માણસોએ ખોડિયાર મંદિર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક્ટિવા પર સુુનીલ છારા અન્ય એક વ્યક્તિ સાથે દેશી દારૂ સાથે ચેનપુર તરફથી આવ્યો હતો. સુનીલ પોલીસને જોઇ જતાં તેણે એક્ટિવા ભગાવ્યું હતું. ન્યૂ રાણીપના નવા બનતા ઓવરબ્રિજની નીચે એક્ટિવા મૂકી સુનીલ અને તેનો સાગરીત નાસી ગયા હતા.
પોલીસે સુનીલને ઝડપવા માટે પાછળ દોટ મૂકી હતી પરંતુ તે હાથ લાગ્યો ન હતો. પોલીસે એક્ટિવામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક્ટિવા અને દારૂ કબજે કરી સુનીલ વિરુદ્ધ દેશી દારૂ અંગેનો કેસ કર્યો હતો. ગુનો નોંધાતાં સાબરમતી પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફના કર્મચારીઓ બપોરે સુનીલના ઘેર પહોંચ્યા હતા.
પોલીસ કર્મચારીઓ સુનીલને લઇ સાબરમતી પોલીસની ડી સ્ટાફની ઓફિસમાં લઇ આવ્યા હતા. જ્યાં તેને પીએસઆઇ બી.એસ. મેઘલાતર અને બે કોન્સ્ટેબલોએ ઢોર માર માર્યો હતો. બે કોન્સ્ટેબલોએ સુનીલને પકડી રાખી પીએસઆઇએ સુનીલના પગના ભાગે, પેટમાં તેમજ પેશાબના ભાગે લાતો મારી હતી.
પોલીસે સુનીલને એ હદે માર માર્યો હતો કે તે અર્ધ બેભાન થઇ ગયો હતો. વધુ પડતા મારના કારણે આરોપી સુનીલ બેભાન થઇ જશે તેવું જણાતાં પોલીસે તેને જવા દીધો હતો પરંતુ ડી સ્ટાફની ઓફિસ બહાર જ બેભાન થઇ ફસડાઇ પડ્યો હતો. આ અંગે સુનીલના પરિવારજનો તેમજ અન્ય બુટલેગરોને જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
બીજી તરફ સુનીલ બેભાન થતાં ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. પોલીસના મારના કારણે બેભાન થયેલા સુનીલને તેના પરિવારજનોએ હોસ્પિટલ લઇ જવા પોલીસને જણાવ્યું હતું પરંતુ પોલીસે હોસ્પિટલ લઇ જવાની ના પાડી હતી. માર મારવાને લઇ પરિવારજનોએ ડી સ્ટાફ ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો અને બાંકડા ઉપર જ સુનીલને સુવડાવી દીધો હતો. આ ગંભીર પરિસ્થિિત જોતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
માર મારનાર પીએસઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવાની બુટલેગર સુનીલના પરિવારે માગ કરી હતી. પોલીસ ફરિયાદની માગને લઇ બુટલેગરના પરિવારજનો અને અન્ય બુટલેગરો સાથે પોલીસે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. સુનીલને હોસ્પિટલ લઇ જવાની જગ્યાએ પોલીસે પરિવારજનો સાથે સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ ૧૦૮ બોલાવી હોવા છતાં તેને હોસ્પિટલ મોકલાયો ન હતો અને ૧૦૮ને પરત મોકલી દેવાઇ હતી.
છેવટે સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.વી. રાણા ડી સ્ટાફની ઓફિસે દોડી ગયા હતા. બંધ બારણે બુટલેગરના પરિવારજનો સાથે પી.આઇ. અને પીએસઆઇએ મિટિંગ કરી હતી. છેવટે બુટલેગરના પરિવારજનો સાથે સમાધાન થયું હતું. બુટલેગરના પરિવારજનોની એક જ માગ હતી કે સુનીલને પોલીસ જ હોસ્પિટલ લઇ જાય ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ વાનમાં જ આરોપી સુનીલને હોસ્પિટલ લઇ ગયા હતા.