Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે વિરમગામ ખાતે શહેર અને તાલુકા ભાજપની બેઠકો યોજાઇ

પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિરમગામ એપીએમસી અને સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. અમદાવાદ જિલ્લાના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઇન્ચાર્જ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ  રમીલાબેન બારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ  હર્ષદગીરી ગોસ્વામીએ વિરમગામ તાલુકા અને વિરમગામ શહેરના હોદ્દેદારો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, સહીતના હોદ્દેદારો સાથે અલગ અલગ બેઠકો કરી એમના મંતવ્યો જાણ્યા હતા અને ચૂંટણીલક્ષી માહિતી આપી હતી.

 વિરમગામ શહેર અને તાલુકામાં ચાલતી પેજ પ્રમુખ અને પેજ સમિતિની માહિતી મેળવી અને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત શંકરભાઈ ચૌધરી અને  રમીલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટેની હાકલ કરી હતી. આજની બેઠકમાં અમદાવાદ જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા હોદ્દેદારો, તાલુકા તથા શહેરના પ્રમુખ-મહામંત્રીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સહીતના અપેક્ષીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના નેતાઓ દ્વારા સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા (તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(6:08 pm IST)