Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નાગરિકો શાંતિ - સલામતી અનુભવે એ જ અમારો નિર્ધાર : રાજ્ય સરકારના અપ્રતિમ પ્રયાસોના પરિણામે શાંતિપ્રિય રાજ્યમાં ક્રાઇમ રેટ ખૂબ જ ઓછો : ગુજરાત સરકારે છેલ્લા સાત વર્ષમાં ૪૯,૦૦૦ થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરી : આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે :રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને વધુ સઘન સુરક્ષા પૂરી પાડી : સમાજના છેવાડાના લોકોને સુરક્ષા - રક્ષણ માટે વધુ સઘન પ્રયાસો કરાશે : ધારાસભ્યશ્રીઓની પરામર્શ સમિતિની બેઠકમાં ધારાસભ્યોના કાયદો-વ્યવસ્થા અંગેના સૂચનોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લવાશે :લોકડાઉન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા વંદે ભારત મિશન હેઠળ ૫૫,૦૦૦ લોકોને ગુજરાત લવાયા : આંતર રાજ્યોમાં પણ શ્રમિકોને પહોંચાડવાની શ્રેષ્ઠ કામગીરી :ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી-આબકારી, પ્રોટોકોલ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ - ધારાસભ્ય સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કાયદાથી પ્રસ્થાપિત રાજ્યમાં લોકો શાંતિ-સલામતીનો અહેસાસ કરે એ માટે અમે પુરૂષાર્થના સામર્થ્ય થકી આગળ વધી રહ્યા છીએ. નાગરિકોની સલામતી અને સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પુરૂષાર્થના પરિણામે આજે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો જોવા મળી રહ્યો છે. 

આજે ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી - આબકારી, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ -  ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં મંત્રીશ્રી જાડેજાએ તમામ ધારાસભ્યશ્રીઓના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકારતા કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષાને વધુ સંગીન બનાવવા માટે આપે કરેલા સૂચનોનો હકારાત્મક અભિગમ થકી સત્વરે અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોરોનાના કાળમાં લોકડાઉન દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા સારૂ વિકિટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મીઓએ માનવીય અભિગમ દાખવીને લોકડાઉનના અમલીકરણનું જે કામ ઉપાડી લીધુ હતું તેના પરિણામે પોલીસની પરંપરાગત છબી અલગ રીતે ઉજાગર થઇ છે. લોકડાઉનના આ કાળ દરમ્યાન એન.આર.જી. વિભાગ દ્વારા પણ વિદેશમાં વસતા ૫૫,૦૦૦થી વધુ ગુજરાતીઓને વંદે ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારની મદદથી ગુજરાત પરત લાવવાની શ્રેષ્ઠ કામગીરી કરાઇ છે. એ જ રીતે આંતર રાજ્યના લાખો શ્રમિકોને પણ તેમના માદરે વતન મોકલવાની કામગીરી ખૂબ જ સુંદર રીતે રાજ્ય સરકારે કરી છે. એ જ રીતે રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સક્રિય રીતે સહયોગ આપેલ. 

મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. 

 

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં ૨૪ કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, FIR ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા FSLની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે. 

 

આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા પોલીસ આવાસ, મહેકમ, નવા પોલીસ સ્ટેશનો, વાહનો, નાર્કોટીક્સના કાયદાની વધુ તીવ્રતાથી અમલવારી વ્યાજખોરોથી ગરીબ પરિવારોને બચાવવા અસામજિક તત્વોની હેરાનગતિ સંદર્ભે પોલીસની કામગીરીની વધુ સઘન બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોને ગૃહ મંત્રીશ્રીએ આવકારીને તેનો અમલ કરવા માટે પણ તત્પરતા દર્શાવી હતી. 

 

બેઠકના પ્રારંભે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ગૃહ વિભાગની કામગીરીનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારે નાગરિકોની વધુ સલામતી માટે કાયદાઓમાં પણ સુધારા કર્યા છે. સાથે-સાથે વિકસતા જતા યુગમાં ગુનેગારો પણ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેમને નશ્યત કરવા માટે પોલીસ કર્મીઓને પણ પ્રોફેશનલ તાલીમ સહીતની સુવિધાઓ પૂરી પાડી છે. જેના પરિણામે કન્વીક્શન રેટમાં પણ વધારો થયો છે. 

 

આ બેઠકમાં સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, સુશ્રી પૂનમબેન માડમ ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા, ડૉ. આશાબેન પટેલ, શ્રી મહેશકુમાર રાવલ, શ્રીમતી સુમનબેન ચૌહાણ, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી દુષ્યંતભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રાણા, શ્રી સુરેશભાઇ પટેલ, શ્રી ગ્યાસુદ્દીનભાઇ શેખ, શ્રી અક્ષરભાઇ પટેલ, શ્રી લલિતભાઇ કગથરાએ ઉપસ્થિત રહીને સૂચનો કર્યા હતા. 

 

આ પરામર્શ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટીયા સહિત ગૃહ વિભાગના અને એન.આર.જી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી. 

(5:14 pm IST)