Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટમાં ૫૪૭ સહિત ગુજરાતમાં સદી વટાવી ચૂકેલા ૧૦૩૫૭ મતદારો

૮૦ વયની વધુ વયના મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૨ : ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બન્ને તબક્કામાં કુલ ૪,૯૧,૩૫,૪૦૦ મતદારો પૈકી ૧૦,૩૫૭ શતાયુ મતદાતા એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજયમાં કુલ ૧૦,૩૫૭ શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં ૫,૧૧૫ જયારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૫,૨૪૨ શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્‍યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૦,૩૫૭ શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં ૧,૫૦૦, વડોદરામાં ૭૧૬, ભાવનગરમાં ૬૨૮, રાજકોટમાં ૫૪૭ અને દાહોદ જિલ્લામાં ૫૩૧ મતદાતાઓ છે. જયારે રાજયમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં ૦૮, તાપીમાં ૬૭, નર્મદા માં ૬૯, પોરબંદરમાં ૧૦૯ તેમજ પાટણ જિલ્લામાં ૧૨૫ મતદાતાઓ નોંધાયા છે.

ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ૧,૫૦૦, બનાસકાંઠામાં ૩૮૨, ગાંધીનગરમાં ૨૬૦, મહેસાણામાં ૨૩૮, અરવલ્લીમાં ૨૦૦, સાબરકાંઠામાં ૧૬૪ તેમજ પાટણ જિલ્લામાં ૧૨૫ શતાયુ મતદારો નોંધાયા છે.

જયારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ૬૨૮, રાજકોટમાં ૫૪૭, કચ્‍છમાં ૪૪૪, જુનાગઢમાં ૩૯૫, અમરેલીમાં ૩૭૨, જામનગરમાં ૨૯૮, ગીર સોમનાથમાં ૨૭૮, સુરેન્‍દ્રનગરમાં ૨૭૮, મોરબીમાં ૧૭૫, દેવભૂમિ દ્વારકામાં ૧૭૪, બોટાદમાં ૧૬૮ તેમજ પોરબંદરમાં ૧૦૯ શતાયુ મતદારો છે.

મધ્‍ય ગુજરાતમાં વડોદરામાં ૭૧૬, દાહોદમાં ૫૩૧, આણંદમાં ૩૩૨, ભરૂચમાં ૩૧૨, ખેડામાં ૨૮૦, પંચમહાલમાં ૨૩૭, છોટાઉદેપુરમાં ૧૪૫, મહિસાગરમાં ૧૩૨ તેમજ નર્મદા જિલ્લામાં ૬૯ શતાયુ મતદારો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં ૪૨૨, વલસાડમાં ૨૩૮, નવસારીમાં ૧૩૩, તાપીમાં ૬૭ તેમજ ડાંગ જિલ્લામાં ૦૮ શતાયુ મતદારો નોંધાયા છે.

ચૂંટણી પંચે ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્‍દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્‍યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્‍યક્‍તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મતદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ-૧૨ ડી ભરીને આપ્‍યું છે, તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે.

(3:56 pm IST)