Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમદાવાદ: મીઠાખળીના ડિલાઇટ સર્કલ પર ટ્રાફિક કોન્સ્ટેબલ પર બે યુવકોએ મારામારી કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના મીઠાખળી વિસ્તારમાં ડિલાઇટ સર્કલ પર ગઇકાલે સાંજે ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલનો બે યુવકોએ કોલર પકડી માર માર્યો હતો. ટ્રાફિકના નિયમનો ભંગ કરતા કોન્સ્ટેબલે બાઇક પર જતાં આ યુવકોને રોક્યા હતા. જેને લઇ બંનેએ બોલાચાલી કરી છૂટા હાથની મારામારી કરી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન આવી જતાં બંને ઝડપી લઇ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હિતેશભાઇ સોમાભાઇ છેલ્લાં બે વર્ષથી એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેમની ફરજ મીઠાખળી ડિલાઇટ સર્કલ પર છે. ગઇ કાલે બપોરથી તેઓ ફરજ પર હાજર હતા. દરમ્યાનમાં સાંજે ૭-૧પ કલાક આસપાસ મીઠાખળી અંડરબ્રિજ તરફથી ટ્રાફિક સિગ્નલ બંધ થતાં ટ્રાફિકને હાથથી રોકવા ઇશારો કર્યો હતો પરંતુ એક બાઇકચાલક પુરપાટ ઝડપે સિગ્નલ ભંગ કરી જવા પ્રયાસ કરતા હતા.

બાઇકચાલકે બ્રેક મારતાં બાઇક સ્લિપ થઇ ગયું હતું. બાઇક પર બેઠેલા બંને યુવકોએ ઊભા થઇ હિતેશભાઇ પાસે આવ્યા હતા અને તેમના ડ્રેસનો કોલર પકડી છુટા હાથની મારામારી કરી હતી.

આ બનાવ બનતાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. દરમ્યાનમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન આવી જતાં બંનેને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછ કરતાં તેઓના નામ અશોક ભોજાભાઇ ભરવાડ અને બળદેવ લાલાભાઇ ભરવાડ બંને (રહે. જાદવનગર, ભરવાડવાસ, મેમનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ બંનેની સામે ફરજમાં રૂકાવટ અને મારામારીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

 

(5:28 pm IST)