Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ધોરણ-3થી 8ની સામયીક કસોટી મોકુફ : શિક્ષણ વિભાગ દ્વારા દરમાસે લેવાઈ છે સામયીક કસોટી

જીસીઈઆરટી દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી જાહેરાત કરાઈ

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની દર મહિને સામાયિક કસોટી લેવામાં આવે છે. જોકે, આ વખતે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારાના પગલે વિવિધ શૈક્ષણિક સંગઠનો તથા સંચાલકોએ એપ્રિલ માસમાં લેવામાં આવનારી એકમ કસોટી રદ કરવા માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઇને જીસીઈઆરટી દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી એપ્રિલમાં લેવામાં આવનારી ધોરણ-3થી 8ની સામયીક કસોટી મોકુફ રાખવાની જાહેરાત કરી છે. વિભાગના આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને રાહત થશે.

રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સરકારી તંત્રના અથાગ પ્રયત્નો છતાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લઇ શકાયા નથી. ત્યારે કોરાનાના કહેર વચ્ચે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ થકી કેટલું શિખ્યા તે જાણવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને ધોરણ-3થી 8માં સામાયીક કસોટી યોજવાનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં સાત જેટલી સામયીક કસોટીઓ યોજાયા બાદ એપ્રિલમાં 27 અને 28ના રોજ ધોરણ-3થી 8ની એકમ કસોટી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, એપ્રિલ માસની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જતાં હોવાથી એપ્રિલ માસની એકમ કસોટીને લઈને પ્રશ્નો ઉભા થયા હતા.

બીજી બાજુ સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત વધારાના પગલે ધોરણ-1થી 9 અને 11માં માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી હતી. બીજી બાજુ રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનો અને સંચાલક મંડળ દ્વારા પણ એપ્રિલ માસમાં યોજાનારી એકમ કસોટી રદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે જીસીઈઆરટી દ્વારા 27 અને 28 એપ્રિલના રોજ યોજાનારી ધોરણ-3થી 8ની એકમ કસોટી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડી શાળાના આચાર્યોને સુચનાઓ આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

(11:17 pm IST)