Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સરખેજ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા

ગાંધીનગર;સરખેજ હાઇવે તરફ જતાં માર્ગ ઉપર અડાલજ પાસેની નર્મદા કેનાલના પુલ ઉપર ત્રીપલ અકસ્માત બુધવારે બપોરના સમયે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વાહનોને ભારે નુકશાન થયું હતું. જેના પગલે અવર જવર કરતાં અન્ય વાહન ચાલકોને પણ અકસ્માતના લીધે વાહન થંભાવી દેવું પડયું હતું અને બે કલાક સુધી આ પુલ ઉપર ટ્રાફિકજામ થતાં અનેક વાહનો અટવાયાં હતાં.
ગાંધીનગરથી સરખેજ હાઇવે તરફ જતાં માર્ગ ઉપર આવેલી અડાલજ નજીકની નર્મદા કેનાલ ઉપરના પુલ ઉપર બપોરના સમયે પસાર થતાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના લીધે ત્રણ વાહનોને ભારે વાહન નુકશાન પહોંચ્યું હતું. ત્રીપલ અકસ્માત સર્જાતાં ત્રણેય વાહનો માર્ગ ઉપર જ ફંગોળાઇ ગયા હતા. જેના પગલે અન્ય વાહનચાલકોને પણ પોતાનું વાહન થંભાવી દેવું પડયું હતું.
આ ઘટનાની જાણ ૧૦૮ને કરવામાં આવતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતના લીધે આ માર્ગ ઉપર અન્ય વાહનોની અવર જવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને લગભગ બે કલાક સુધી ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકો હેરાન પરેશાન થયાં હતાં.તેની જાણ પોલીસને કરવામાં આવતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને અકસ્માત થયેલાં વાહનોને મુખ્યમાર્ગ ઉપરથી સાઇડમાં લગાવીને ટ્રાફિક ખોલ્યો હતો. આમ બે કલાક સુધી વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાઇ જતાં હાડમારી ભોગવવી પડી હતી.

(6:11 pm IST)