Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં ગરકવા થનાર ત્રણ યુવાન હજુ સુધી લાપતા

ગાંધીનગર:શહેર નજીક આવેલા નભોઈ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ત્રણ દિવસ અગાઉ ત્રણ યુવાનો સેલ્ફી લેવા જતાં ડુબ્યા હતા. જેમની શોધખોળ ગાંધીનગર અમદાવાદ ફાયરબ્રિગેડની સાથે એનડીઆરએફ દ્વારા પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ યુવાનોનો કોઈ અતોપતો લાગ્યો નથી. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જોખમી સાબિત થઈ રહી છે. અહીં આપઘાતના બનાવોની સાથે અકસ્માતે પડી જવાની ઘટનાઓ પણ વધી રહી છે જેમાં સતત મૃત્યુ આંક પણ વધ્યો છે ત્યારે ત્રણ દિવસ અગાઉ અમદાવાદના દુધેશ્વરમાં રહેતાં ચાર યુવાનો નભોઈ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે આવ્યા હતા. જે પૈકી ત્રણ યુવાનો નીચે પાણી સાથે સેલ્ફી લેવા માટે ઉતર્યા હતા અને એક પછી એક એમ ત્રણ યુવાનો ડુબ્યા હતા. જેના પગલે ગાંધીનગર અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની સાથે એનડીઆરએફની ટીમોએ આ યુવાનોની શોધખોળ કરી હતી પરંતુ આ યુવાનોનો કોઈ પતો લાગ્યો નહોતો. આજે ત્રણ દિવસ બાદ પણ એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ યથાવત રાખવામાં આવી છે અને નભોઈથી લઈ જાસપુર સુધીની કેનાલમાં તપાસ કરવા છતાં આ યુવાનોનો કોઈ પતો લાગ્યો નથી. પાણીનો પ્રવાહ હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

(6:52 pm IST)