Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હાર્દિક પટેલ અને અલ્‍પેશ ઠાકોર સામસામે હોવા છતાં કોઇ ફરક પડવાનો નથી, ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશેઃ અશોક ગેહલોત

રોજગારી, મોંઘવારી અમારા મુખ્‍ય મુદ્દા, અમારા વચનો લોકોને આકર્ષે છે

અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે જણાવ્‍યું છે કે, હાર્દિક પટેલ અને અલ્‍પેશ ઠાકોર સામસામે હોવાથી કોઇ ફર્ક પડવાનો નથી, અમારા વચનો જ લોકોને આકર્ષે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતનું એક નિવેદન હાલ ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. તેઓએ કહ્યું કે હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઇ ફર્ક નથી પડતો. આ વખતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે તેવો દાવો કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, અમારા વચનો જ લોકોને આકર્ષે છે. જીત બાદ વચનો પૂર્ણ કરવાના નિર્ણયો થશે. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો છે. રોજગારી, મોંઘવારી જ અમારો મુદ્દો રહેશે. ભાજપને હાર દેખાય છે એટલે ડરી ગઈ છે. હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઈ ફર્ક પડતો નથી.

અશોક ગહેલોતે ઝી ચોવિસ કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા વચનો જ એવા હોય છે કે લોકોને આકર્ષે છે. કોંગ્રેસ કહે છે તે પુરા કરે છે. કોંગ્રેસની કથની અને કરણીમાં અંતર નથી. ચુંટણી જીત્યા બાદ આ વચનોને આધાર બનાવી નિર્ણય કરવામાં આવશે. રાજસ્થાનમાં અમે લાગુ કર્યું છે. પહેલાં મેનીફેસ્ટો અંગે કોઇ વાત નહોતી કરતું અમે લાગુ કર્યો. રાજસ્થાનની પ્રક્રિયા પણ ગુજરાતમાં લાગુ પડશે. 

અશોક ગહેલોતે વધુમાં જણાવ્યું કે, લોન દરેક રાજ્ય અને કેન્દ્ર લેતા હોય છે. લોન લેવી ખોટું નથી. લોન કંઇ યોજના અને કામ માટે લેવી તેની પ્રક્રિયા હોય છે. અમે જે વાયદા કર્યા તે ફાયનાન્સીયલ મેનેજન્ટનો એક ભાગ. બજેટ અને રેવન્યુ પર કોંગ્રેસનો સારો અનુભવ છે. હાલ રાજ્યમાં બિન જરૂરી વિવાદ પેદા થઇ રહ્યા છે. દેશની સંપતિ પર દરેક દેશવાસીઓનો અધિકાર છે. બધાનો એક જ સંદેશ છે, સાથે મળીને દેશ ચલાવો. રાહુલ ગાંધીની યાત્રા એક પ્રમાણ છે. બેરોજગારી ઘટે, મોંઘવારી ઘટે, દેશમાં હિંસા ના રહે, વગેરે જેવા આગળ પણ અમારો આ મુદ્દો રહેશે.

અશોક ગહેલોતે જણાવ્યું કે, ભાજપા ગભરાયેલી છે એટલે ચુંટણી હારે છે. ભાજપાના નેતાઓ પણ માને છે કે મોંધાવરી ભયંકર છે. આ યાત્રા કોંગ્રેસના બેનર હેઠળ નથી, જે કોઇને જવું હોય એ જઇ શકે છે. ભાજપાના નેતાઓ પણ સમર્થન માટે યાત્રામાં જોડાઇ શકે છે. દેશની સામે રહેલી સમસ્યાઓ સામે યાત્રા છે. ભાજપ માત્ર ભ્રમ પેદા કરવા માંગે છે. એઆઈસીસી ચુંટણી મુદ્દે ગંભીર બાબત છે. રાહુલ ગાંધી ગત ચુટંણીમાં પોતે હાજર રહ્યા હતા હવે યાત્રા થકી સંદેશ આપે છે. 

અશોક ગહેલોતે છેલ્લે જણાવ્યું હતું કે, હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઇ ફર્ક નથી પડતો આ વખતના પરિણામો ચોકાવનારા હશે. 

(5:58 pm IST)