Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બે વેપારીઓ વચ્ચે નજીવી બાબતે થયેલ ઝઘડામાં મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના પાણીગેટ રોડ ખાતે કપડાની દુકાન ધરાવતા બે વેપારીઓ વચ્ચે કપડા ઉપર પડીકીની પિચકારી મારવા મુદ્દે છુટાહાથની મારામારી થતા બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન કપડાના જથ્થા ઉપર કાળો કલર છાંટતા નુકસાન પણ પહોંચ્યું છે. 

  શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ઉત્તમચંદઝવેરીની પોળમાં રહેતો ફહદ ફારૂકભાઈ દૂધવાલા પાણીગેટ રોડ ખાતે કપડાની દુકાન ધરાવે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બાજુમાં દુકાન ધરાવતા રસીદ અહેમદભાઈ યાકુબવાલા તથા તેના બે પુત્રો સફવાન રસીદભાઈ યાકુબવાલા અને ઈબ્રાહીમ રસિદભાઈ યાકુબવાલા ( ત્રણેવ રહે - ઉત્તમચંદઝવેરીની પોળ, પાણીગેટ રોડ ) અચાનક મારી દુકાનમાં ઘસી આવી અપશબ્દો બોલી મને માર માર્યો હતો. મારા બચાવમાં  મારો ભાઈ ફેઝાન વચ્ચે આવતા તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઈબ્રાહીમએ મારી દુકાનમાં રાખેલ કપડાં ઉપર કાળો કલર છાંટી નુકસાન પહોંચાડ્યું હતું. ઝઘડા અંગેનું કારણ એ છે કે, રસિકભાઈની દુકાન પાસે શો માટેના કપડા ઉપર કોઈએ પડીકીની પિચકારી મારતા મારી ઉપર શંકા રાખી હુમલો કર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે વાડી પોલીસે ત્રણેવ વિરુદ્ધ મારામારી , નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)