Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બાળકોનું બાળપણ બરબાદ કરનાર માતા-પિતાને ગુજરાત હાઇકોર્ટે બાળ લગ્નના કેસમાં 30 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે બાળલગ્નના એક કેસમાં વર-વધુના માતા-પિતાને 30 હજાર રુપિયાનો દંડ કર્યો છે. જો કે કોર્ટે નોંધ્યું છે કે આ દંડ બાળકોનું બાળપણ બરબાદ કરવા માટે કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ જુના બાળલગ્નના આ કિસ્સામાં સગીર પત્નીએ તેનાં પતિ (લગ્ન સમયે સગીર) સામે 2016માં સાસરિયાના ઘરે લઈ જવામાં આવી ત્યારે તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની FIR દાખલ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે, “આ દેશનો કાયદો માતા-પિતા સાથે તેમના બાળકોના અધિકારીઓનું પણ ધ્યાન રાખે છે. જો કે તેમની પ્રાથમિકતા બાળકોનું કલ્યાણ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોનું ચુકાદામાં વર્ણન કરતા નોંધ્યું હતું કે, સારા ઘરથી સારી કોઈ શાળા નથી અને સારા મા-બાપથી વધુ સારો કોઈ શિક્ષક નથી.

ગુજરાત હાઈકોર્ટે FIR રદ્દ કરતા નોંધ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતાં અને તેમના પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે અને અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને FIR અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. આ કેસમાં કોર્ટ, રજીસ્ટ્રી સહિત અન્યનો સમય વ્યર્થ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે બંને અરજદાર પતિ અને ફરિયાદી પત્નીના માતા-પિતાને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું કે બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ ફટકારવામાં આવે છે. આ દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ અધિકારીને બંને પત્ની અને અરજદાર પતિના લગ્નનાં આમંત્રણ પણ મળી આવ્યાં છે. જેથી સ્પષ્ટ થાય છે કે બંનેના લગ્ન 7મી ફેબ્રુઆરી 2015ના રોજ કરવામાં આવ્યાં હતાં. બંને પક્ષના વકીલો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પત્ની અને અરજદાર પતિના સમુદાયમાં બાળલગ્નની કુ-પ્રથા હજી પણ પ્રચલિત છે અને તેના લીધે બંનેના માતા-પિતાએ સગીર અવસ્થામાં જ તેમના લગ્ન કરાવી દીધાં હતાં.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે સગીર વયની પત્ની દ્વારા તેના પતિ (અરજદાર) વિરૂદ્ધ 19મી ઓગસ્ટ 2020ના રોજ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવામાં આવી હતી. FIRમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનાં લગ્ન 7મી ફેબ્રુઆરી 2015નાં રોજ કરાવવામાં આવ્યાં હતાં. સગીર વયની પત્નીએ FIRમાં આક્ષેપ કર્યો હતો કે 2016માં જ્યારે તેના સાસરિયા ઘરે ગઈ ત્યારે તેના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. FIR પ્રમાણે આ બનાવ વખતે પત્નીની વય 11 વર્ષ અને પતિની વય 17 વર્ષ હતી. સગીર વયની પત્ની દ્વારા નોંધવામાં આવેલી FIR રદ કરાવવા માટે અરજદાર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

(5:31 pm IST)