Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગળતેશ્વર તાલુકાના અંધાડીમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં બે પાડોશીઓ બાખડ્યા: સામસામે થયેલ હુમલામાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

ગળતેશ્વર: તાલુકાના અંઘાડીમાં આવેલ રોહિતવાસ વિસ્તારમાં ધીરૂભાઈ અજરામભાઈ રોહિત પોતાના પરિવાર સાથે રહે છે. પંદરેક દિવસ અગાઉ ધીરૂભાઈના ભત્રીજા કૌશિક અને મિતુલને ફળીયામાં રહેતાં જયંતિભાઈ સાથે ઝઘડો થયો હતો. જે તે વખતે ધીરૂભાઈએ ઝઘડામાં વચ્ચે પડી તેમના ભત્રીજાઓનું ઉપરાણુ લઈ ઝઘડો શાંત કરાવ્યો હતો.

ઝઘડાને પંદરેક દિવસ વીતી ગયાં બાદ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ગતરાત્રિના એક વાગ્યાના અરસામાં જયંતિભાઈ રોહિત મોટે મોટેથી બૂમો પાડી ધીરૂભાઈ અને તેમની પત્ની ગીતાબેનને ગમેતેમ ગાળો બોલી રહ્યાં હતાં. તે વખતે ફળીયામાંથી મોટે મોટેથી અવાજ આવતાં ધીરૂભાઈ ઉંઘમાંથી જાગી ઘર બહાર આવ્યાં હતાં. ત્યારે જયંતિભાઈએ ધીરૂભાઈને જણાવ્યુ હતુ કે પંદરેક દિવસ અગાઉ થયેલા ઝઘડામાં તે તારા ભત્રીજાઓનો પક્ષ લીધો હતો એટલે આજે અમે તને છોડવાના નથી તેમ કહી તલવાર લઈ દોડી આવ્યો હતો. તેમજ જયંતિભાઈના પિતા નરસિંહભાઈ ધુળાભાઈ રોહિત હાથમાં ધારીયું લઈ આવી ગયાં હતાં. જો કે ફળીયામાં રહેતાં રહીશો ઝઘડામાં વચ્ચે પડતાં ધીરૂભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જયંતિભાઈ અને નરસિંહભાઈ ત્યાંથી ચાલ્યાં ગયાં હતાં.

(5:59 pm IST)