Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

જોબવર્કમાં જીએસટી પ ટકાથી ઘટાડીને ૧.પ૦ ટકા કરાતા હિરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઇ

સુરત :હીરા ઉદ્યોગોમાં જોબવર્કમાં જીએસટી 5 ટકાથી ઘટાડીને 1.50 ટકા કરાતા હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હીરા જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ 3.50 ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો છે. આમ, સામી દિવાળીએ નાના હીરા ઉદ્યોગકારોને રાહત મળી છે. સરકારના આ નિર્ણયથી હાલ મંદીમાં સપડાયેલી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને અનેક ફાયદા થશે. જેને કારણે હીરા ઉદ્યોગકારોએ ગઈકાલથી રાહતનો શ્વાસ લીધો છે.

રજૂઆત કરાતા જીએસટી ઘટાડાઈ

જીએસટી કાઉન્સિલની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. જેમાં સુરતના હીરા ઉદ્યોગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હીરાના જોબવર્ક માટે પહેલા 5 ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને 1.50 ટકા કરાઈ છે. આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ બની છે. કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના 5 ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ, મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે.

ટેક્સટાઈલ ઉદ્યોગોમાં હજી પણ નિરાશા

આમ, લાંબી સમયથી ચાલતી હીરા ઉદ્યોગની માંગનો ગઈકાલે અંત આવ્યો છે. જોકે, જીએસટીની બેઠકમાં હીરા ઉદ્યોગને રાહત આપવામાં આવી છે. પણ બીજી તરફ, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેને કારણે ટેક્સટાઈસ બિઝનેસકર્તાઓમાં નિરાશા જોવા મળી છે. ટેક્સટાઈલ બિઝનેસ દ્વારા ટેક્સટાઈલ અને જેમ જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝને કનડતી આઈટીસી-04ની જોગવાઈ કાયમી ધોરણે કેન્સલ કરવા, આરસીએમથી ઉદ્યોગોને રાહત આપવા અને લેપ્સ ક્રેડિટના મુદ્દે ચુકાદો આવી ગયો હોવા છતા તેનો અમલ કરવામાં આવતો નથી. જેથી તેઓ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યાં છે.

(4:41 pm IST)