Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોંગી કોર્પોરેટર કમરુદ્દીન પઠાણના ભાઇનું અવસાન

કોરોનાના કારણે અવસાનથી શોક

અમદાવાદ,તા.૨૧ : કોંગ્રેસના કોર્પોરેટરના ભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટરનું કોરોનાથી મોત થઈ ગયું છે. બહેરામપુરાના કોર્પોરેટર કમરૂદ્દીન પઠાણના ભાઈ અને પૂર્વ કોર્પોરેટર સિરાઝુદ્દીન પઠાણનું કોરોનાથી મોત થયું છે. તેમને ૫ દિવસ પહેલા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરના ભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટર સિરાઝુદ્દીન પઠાણના કરૂણ મોતને પગલે કોંગ્રેસ પક્ષમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાગીરીમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્ની પણ કોરોનાગ્રસ્ત હોઇ હાલ તેઓ સારવાર હેઠળ છે,

       જેમાં બદરૂદીન શેખની તબિયત પણ નાજુક હોવાની વાત ગઇકાલે સામે આવી હતી, જેને લઇ કોંગ્રેસ પક્ષમાં ચિંતાની લાગણી પ્રસરી હતી ત્યાં આજે બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર કમરૂદ્દીન પઠાણના ભાઈ અને પૂર્વ કોર્પોરેટર સિરાઝુદ્દીન પઠાણનું કોરોનાથી મોત થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ પણ હાલ સારવાર હેઠળ છે. એ પછી તેમના સંપર્કમાં આવેલા તેમના અન્ય પરિવારજનો પણ કવોરન્ટાઇન હેઠળ છે. આમ, કોંગ્રેસ પક્ષમાં એક પછી એક નેતાઓ કોરોનાના ભરડામાં સપડાતાં ચિંતાની લાગણી પ્રસરી છે.

(10:02 pm IST)