Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો 10 જૂન સુધીમાં પૂર્ણ કરાશે: 27 મીથી ટેકાના ભાવે ઘઊંની ખરીદી કરશે

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ર૭૮૦૦ ઊદ્યોગો-એકમો શરૂ કરવા પરવાનગી:1 લાખ ૮૦ હજાર શ્રમિકો-કામદારોને રોજગારી :મુખ્યમંત્રી રૂપાણીના મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના  મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.આ હેતુસર રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોક ભાગીદારીથી હાથ ધરાશે.

 રાજ્યના દરેક જિલ્લાઓમાં આ અભિયાન અંતર્ગત કરવાના થતા કામો માસ્ટર પ્લાન મુજબ સંબંધિત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. લોકભાગીદારીથી હાથ ધરાનારા કામોમાં સરકારનો ફાળો ૬૦ ટકા રહેશે.
 મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પ્રવર્તમાન કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપી હતી.

 મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળ અભિયાન-૩ના કામોમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. 

 અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ સુચવ્યું છે.

 આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોને ચુકવવાની રહેશે નહિ, તેમજ જે તળાવો, ચેકડેમ, બંધારા કે જળાશયોમાં પાણી સુકાયેલા છે ત્યાં પાળાની સલામતિના મૂદાને જે-તે અધિકારી દ્વારા ધ્યાનમાં રાખીને મંજુરી આપવામાં આવશે અને ખેડૂતો પોતાના ખેતર માટે વિનામૂલ્યે કાંપ લઇ શકશે, તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
       મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં આ સુજલામ સુફલામ જળ અભિયાનના બે તબક્કા અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પાર પડયા છે. આ દરમ્યાન બે વર્ષમાં ર૩,પ૦૦ લાખ ઘનફૂટ માટી-કાંપ ખેડૂતોએ કાઢી છે અને પરિણામે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે.
        મુખ્યમંત્રીએ રાજ્યના ઘઉં પકવતા ખેડૂતોના હિતમાં અન્ય એક નિર્ણય લઇને રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર તા. ર૭ એપ્રિલથી તા. ૩૦ મી મે-ર૦ર૦ સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે.
        મુખ્યમંત્રીના સચિવશ્રીએ આ સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર તા. ર૭ એપ્રિલથી તા. ૧૦ મે-ર૦ર૦ સુધી કરાવવાનું રહેશે.
          તેમણે સ્પષ્ટ કર્યુ કે મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ સરકારે તા. ૧ માર્ચ-ર૦ર૦થી તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી રજિસ્ટ્રેશન તેમજ તા.૧૬ માર્ચ-ર૦ર૦થી તા. ૩૦ મે-ર૦ર૦ સુધી ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં તા. ર૩ માર્ચ સુધીમાં ર૯ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે.
 વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ને પગલે તા. રપ માર્ચથી જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં આવું રજિસ્ટ્રેશન તેમજ ખરીદી તા.ર૪ માર્ચથી મુલત્વી રાખવામાં આવેલા હતા.
 મુખ્યમંત્રીએ હવે તા.ર૭ એપ્રિલ સોમવારથી તા.૩૦ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પાસેથી તા. ર૭ એપ્રિલ-ર૦ર૦થી ઘઉંની ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ જાળવીને કરવામાં આવશે.

 મુખ્યમંત્રીના સચિવે એમ પણ કહ્યું કે તા. ર૭ એપ્રિલ-ર૦ર૦થી તા. ૧૦ મે-ર૦ર૦ સુધી અન્ય ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ થવાનું છે તેમાં પણ ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીએ સુચનાઓ આપી છે. 

તેમણે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પણ ખાસ તાકીદ કરી છે તેમ મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું.

 રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગ એકમો શરૂ કરવા ભારત સરકારે આપેલી છૂટછાટ અને દિશાનિર્દેશોને પગલે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીએ શહેરો-નગરો વિસ્તાર સિવાયના બહારના વિસ્તારોના આવા ઊદ્યોગ એકમો શરૂ કરવા છૂટ આપેલી છે.
          આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવા ર૭૮૦૦ ઊદ્યોગ એકમો શરૂ કરવાની પરવાનગીઓ અપાઇ છે અને અંદાજે ૧ લાખ ૮૦ હજાર શ્રમિકો કામદારો આવા ઊદ્યોગોમાં રોજગાર મેળવતા થયા છે.
         તેમણે રાજ્યના માર્કેટયાર્ડ – બજાર સમિતિઓમાં તા. ૧પ એપ્રિલથી ખેડૂતોના ખેત ઉત્પાદનો વેચાણ માટે ખરીદવાની શરૂઆત કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને પરિણામે અત્યાર સુધીમાં ૧ર૦ જેટલા માર્કેટયાર્ડમાં ૧ લાખ ૩૪ હજાર ૭પ૦ કવીન્ટલ અનાજ ખરીદી-વેચાણ થયા છે તેમ પણ ઉમેર્યુ હતું.
           આ અનાજમાં ૮પ૦૮૮ કવીન્ટલ ઘઉં, ૩૭૪૪ર કવીન્ટલ એરંડા તથા ૪૮૧૬ કવીન્ટલ અન્ય જણસીનો સમાવેશ થાય છે એમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
           મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ટેલિફોનિક સંપર્ક કરીને ગુજરાતના વેરાવળમાં પ્રવર્તમાન સ્થિતીમાં ફસાયેલા આંધ્રપ્રદેશના માછીમારો અંગે વાતચીત કરી હતી.
         મુખ્યમંત્રીના સચિવે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર દ્વારા આંધ્રપ્રદેશના આ માછીમારો માટે રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને તેમની સલામતિ-આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે.
 એટલું જ નહિ, હવે સમુદ્રમાં માછીમારી માટે જવાની છૂટ રાજ્ય-કેન્દ્ર સરકારે આપેલી છે ત્યારે આ માછીમારો વેરાવળના દરિયામાં માછીમારી પ્રવૃત્તિ માટે પણ જાય છે.

(7:24 pm IST)