Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

લોકડાઉનનો સહકાર મળશે તો મે માસમાં અંકુશ આવશે

પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયનથી ડિલવરી : પ્રથમ પ્લાઝમા સ્ટડી કેન્દ્ર એસવીપીમાં રહેશે : એસવીપી ખાતે ૫૦૦ બેડોની ક્ષમતા હવે વધારી એક હજારની કરાઇ

અમદાવાદ,તા.૨૧ : લોકડાઉનનો ચુસ્ત અને કડકાઇથી અમલ તેમજ પાલન થાય તો અમદાવાદ શહેરમાં કોરોના પર મે મહિના સુધીમાં નિયંત્રણ  લાવી શકવાની આશા આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વ્યકત કરી હતી. કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં આજે નવા ૫૦ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ ૧૨૯૮ દર્દી થયા છે અને મૃત્યુઆંક ૪૩એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે તા.૩ મે સુધી લોકડાઉનનું કડક  અને ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે.

          મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાની મહિલા દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર એસવીપીમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં ૧૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે ૫૧ દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે એસવીપી હોસ્પિટલની ક્ષમતા ૫૦૦ બેડથી વધારી ૧૦૦૦ બેડ કરી છે. આમ હવે ૧૦૦૦ દર્દીની સારવાર થઈ શકશે. વિજય નેહરાએ ઉમેર્યું કે, કાલુપુર સ્ટેશન પાસે આવેલા હજ હાઉસ ખાતે આવતીકાલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમજ ફાઇવ સ્ટાર હોટલ સાથે પણ કરાર કરીને કબજે લીધી છે. જેથી જે દર્દીનો ખર્ચો પોષાય હોય તે દર્દી તેમાં આઈસોલેશનમાં રહી શકશે. નીતિન શાહ નામના દર્દીને ૧૦ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શન હતા. તેમને વેન્ટીલેટર હટાવ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા અને બેવાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કર્યાં છે.

(10:08 pm IST)