Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુભાષબ્રિજ પર નોકરીએ જતો યુવક દુર્ઘટનામાં મોતને ભેટયો

બાઇકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા બનાવઃ રાણીપ પોલીસે સમગ્ર બનાવ આ અંગે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અજાણ્યા વાહનચાલકની શોધખોળ

અમદાવાદ,તા. ૨૧: શહેરના સુભાષબ્રીજ પર આજે વહેલી સવારે નોકરીએ જઇ રહેલો એક બાઇચાલક યુવક અજાણ્યા વાહનની ટક્કરે અકાળે મોતને ભેટતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવકના કરૃણ મોતને પગલે લોકોમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે રાણીપ પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા દક્ષાબહેન જોષીના પતિ ભરતભાઇ મુંબઇ ખાતે વેપાર કરે છે. જયારે તેમનો પુત્ર સની જોષી(ઉ.વ.૨૪) પંદર દિવસ પહેલાં જ સેલ્સ માર્કેટીંગની નોકરીમાં લાગ્યો હતો અને ગઇકાલે તે રાબેતા મુજબ પોતાની બાઇક લઇને વહેલી સવારે નોકરીએ જવા માટે નીકળ્યો હતો. એ વખતે કોઇ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન ગફલતભરી અને બેદરકારીભરી રીતે હંકારી સનીના બાઇકને ટક્કર મારી હતી. જેથી સની પોતાના બાઇક પરથી જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે પાછળથી તેનું સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજયુ હતું.

અકસ્માતને પગલે સુભાષબ્રીજ પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. યુવકના મોતની ઘટનાને લઇ લોકોમાં ભારે અરેરાટી અને ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૃધ્ધ જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:28 pm IST)