Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

નારોલમાં પતિ અને સાસુના ત્રાસથી પત્નીની આત્મહત્યા

કૃતિકાએ મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા : દીકરીના આપઘાત બાદ માતાએ જમાઈ અને તેની માતા વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા. ૬ : શહેરના નારોલ વિસ્તારમાં આવેલા એક યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા. જોકે પ્રેમ લગ્ન બાદ તેનો પતિ તથા સાસુ શારિરીક અને માનસિક ત્રાસ આપતા હોવાથી તથા પતિ ઘરમાં જ યુવતીને પૂરી રાખીને મારઝૂડ કરતો હતો. યુવતીને પિયરમાં વાત કરવી હોય તો સ્પીકર પર ફોન રાખીને જ વાત કરવા ફરજ પાડતો હતો. એવામાં સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને આ યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવતીની માતાની ફરિયાદના આધારે નારોલ પોલીસે માતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, ગાંધીનગરના વડસર ગામે રહેતી ૨૧ વર્ષની કૃતિકાએ બે વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ જીગ્નેશ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુત્રીએ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેના પિયરજનો તેના ત્યાં જતા ન હતા. કૃતિકા તેના પતિ જીગ્નેશ સાથે નારોલમાં જ્યાં રહેતી હતી ત્યાં ચંદ્રિકાબહેનના સંબંધી દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે, કૃતિકાનો પતિ તેની પર ખૂબ વહેમ રાખી ઘરમાં પુરી રાખે છે. કૃતિકાને એકલી ઘરની બહાર ન નીકળવા દઈ તેને અન્ય બાબતોમાં મારતો હતા. કૃતિકાના પરિવારજનો કંઈ કહેવા જાય તો તેઓને કઈ બોલવાની ના પાડી દેતા હતા.

સંબંધીના લગ્નમાં કૃતિકા તેના પિયરજનોને મળી હતી. ત્યારે તેણે પતિ દ્વારા અપાતા ત્રાસનો ઉલ્લેખ પરિવારના સદસ્યો સમક્ષ કર્યો હતો. જીગ્નેશ તેને ઘરની બહાર નીકળવા દેતો નહોતો અને ફોન પર વાત પણ કરવા દેતો ન હોવાની ફરિયાદ તેણે પિયરજનો ને કરી હતી. કોઈ સાથે વાત કરવી હોય તો ફોનમાં સ્પીકર પર જ વાત કરાવી ત્રાસ આપતો હતો. જેથી જીગ્નેશ જોડે ન જવાનું કહી વીસેક દિવસ કૃતિકા પિયરમાં રહેવા ગઈ હતી. બાદમાં તેને સમજાવી તેનું ઘર કરવા કૃતિકાને સાસરે મોકલી હતી.

રોજબરોજના આવા ત્રાસથી કૃતિકા કાંટાળી ગઈ હતી આમ છતાં સાસરિયા કે પતિનો ત્રાસ ઓછો થતો નહોતો. દરમિયાન કૃતિકાએ કંટાળીને છેલ્લે પતિ જીગ્નેશના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. કૃતિકાની માતાને આ વાતની જાણ જીગ્નેશે કરતા તેમણે દીકરીના આપઘાતનું કારણ પૂછ્યું હતું.

જોકે જીગ્નેશે કોઈ જવાબ આપ્યો નહોતો. ચંદ્રિકાબેને આ બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં જોઈને જીગ્નેશ તથા તેની માતા વિરુદ્ધ દીકરીને ત્રાસ આપવાના કારણે તેને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે બંને વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણા સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(8:14 pm IST)