Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અયોધ્યા ખાતે નૂતન રામલલાના મંદિરમાં એસજીવીપીના નાના નાના કર્મચારીઓ દ્વારા અઢી લાખનું સમર્પણ

અમદાવાદ તા. ૨૧ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે નિર્માણ પામી રહેલ નૂતન રામમંદિરમાં દેશ-વિદેશમાં નિધિ સમર્પણ થઈ રહ્યું છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVPના રસોયાઓ, સફાઈ કામદારો, ખેત મજૂર વગેરે વિભાગોમાં સેવા કરી રહેલા નાના નાના કર્મચારીઓએ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અનોખું સમર્પણ દાખવ્યું છે. સંસ્થાના સૌ કર્મચારીઓએ ભેગા મળી અઢી લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને વસંતપંચમીના પવિત્ર દિવસે રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે મંદિર નિર્માણમાં અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ નાના નાના કર્મચારીઓની આ મોટી સેવાને બિરદાવતા કહ્યું હતું કે, આ સેવા રામસેતુ નિર્માણમાં ખીસકોલીની સેવા છે. ભગવાન રામચંદ્રજી આપ સૌ ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરીએ છીએ.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર ધીરૂભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(12:22 pm IST)