Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વાપીમાં જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માંગવાના કેસમાં 6 ઝડપાયાઃ 24 લાખનો મુદ્દામાલ જપ્‍ત

વાપી : ઔધોગિક નગરી વાપીના એક જાણીતા ઉદ્યોગપતિનું થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અપહરણકારોએ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી અને ત્યારબાદ ઉદ્યોગપતિને છોડ્યો હતો. જોકે ઘટનાને  દિવસો વિત્યા બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. આથી  પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણનો ભેદ ઉકેલ્યો છે. અત્યારે વાપી પોલીસે અપહરણના આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી. 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યો છે.

 ઔદ્યોગિક નગરી વાપીમાં ગઈ 9 મી તારીખે વાપી જીઆઇડીસીમાં કંપની ધરાવતા અમિત શાહ નામના એક ઉદ્યોગપતિનું અપહરણ થયું હતું. અપહરણનો ભોગ બનનાર ઉદ્યોગપતિ અમિત શાહ પોતાની કંપની પરથી રાત્રે  ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જીઆઇડીસી વિસ્તારની એક સૂમસામ ગલીમાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. વખતે જ બાઇક અને કારમાં આવેલા 6 થી વધુ અપહરણકારોએ ઉધોગપતિની કારને રોકી. તિક્ષણ હથિયારની અણીએ તેમની જ ગાડીમાં અપહરણ કરી અને ફરાર થઈ ગયા હતા. અપહરણ બાદ આરોપીઓએ વાપીના એક છેવાડાના  વિસ્તારમાં આવેલા એક અવાવરું જગ્યામાં આવેલ એક રૂમમાં ઉદ્યોગપતિને ગોંધી રાખ્યા હતાં. ત્યારબાદ તેઓને ધાક ધમકી આપી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણીની માંગ કરી હતી.

 જોકે તાત્કાલિક આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થઈ શકે તેવી વાત આવતા જ અપહરણકારોએ વધારે દબાણ બનાવી અને કલાકોમાં જ રૂપિયા 50 લાખ આપવાની માંગ કરી હતી. અપહરણમાં સામેલ એક આરોપી ઉદ્યોગપતિના ઘરે ખંડણીની રકમ લેવા ગયો. આથી પરિવારજનોએ રાતોરાત ઉદ્યોગપતિને છોડાવવા અપહરણકારોને રોકડા રૂપિયા 50 લાખની ખંડણી રકમ ચૂકવવી પડી હતી. ત્યારબાદ ઉદ્યોગપતિનો છુટકારો થયો હતો.

ઉદ્યોગપતિ અમિત શાહના અપહરણને દિવસો વિત્યા બાદ એક દિવસ અગાઉ જ આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જોકે શરૂઆતમાં ઉદ્યોગપતિના પરિવારજનો પોલીસ ફરિયાદ આપવાની ના કહેતા હતા. પરંતુ પોલીસે વિશ્વાસમાં લેતા જ ઉદ્યોગપતિનું પરિવાર ફરિયાદ આપવા તૈયાર થયું હતું. અને ફરિયાદ નોંધાતા જ વલસાડ જિલ્લાની પોલીસની વિવિધ ટીમોએ અપહરણકારોને શોધવા તમામ દિશામાં તપાસ  તેજ કરી હતી. અને ગણતરીના સમયમાં જ અપહરણમાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. ધરપકડ કર્યા બાદ  ઉદ્યોગપતિના પરિવાર પાસેથી વસૂલ કરેલ  50 લાખની ખંડણીમાંથી પાંચ લાખ રૂપિયા રોકડા અને ખંડણીની રકમ માંથી જ ખરીદેલ વાહન અને મોબાઈલ સહિતનો મુદ્દા સહિતનો રૂપિયા 24 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.

વાપીના ઉદ્યોગપતિના સનસનીખેજ અપહરણની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જોકે અપહરણના સનસનીખેજ મામલામાં 50 લાખની ખંડણી ચૂકવ્યા બાદ ઉદ્યોગપતિનો છુટકારો થયો હતો. પરંતુ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં ખંડણીની મોટી રકમ કબજે કરવાની બાકી છે. અને મુખ્ય આરોપી બિહાર ફરાર થઇ ગયો હોવાથી વલસાડ જિલ્લાની પોલીસ અત્યારે વોન્ટેડ આરોપીઓ ની ધરપકડ કરવા બિહારમાં પણ તપાસ કરી રહી છે.

(8:38 pm IST)