Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

નવા સત્રમાં ૮૦ પુસ્તકો બદલાઈ જશે

૨ થી ૭ ધો.ના પુસ્તકોના મોટા ફેરફારો : ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ બદલાવ

અમદાવાદ,તા.  ૨૧ : રાજયભરમાં  એપ્રિલ- ૨૦૨૦માં નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થવા જઇ રહી છે. જો કે, નવા  શૈક્ષણિક  સત્રના પ્રારંભ  સાથે જ  આ  વખતે ધોરણ-૨થી લઈને ધોરણ ૧૨ સુધીના અંદાજે ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં  આવ્યા  છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકારની  તૈયારીઓ  ચાલી રહી છે.

પુસ્તકોમાં જરૂરી ફેરફાર અને  બદલાવની કામગીરી પૂર્ણ થયા બાદ તેના પ્રુફ  રીડીંગ  અને  ખરાઇ બાદ પ્રિન્ટીંગના અંતે નવા પુસ્તકો થોડા  દિવસોમાં  વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. તો, આ  વખતે  ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ પુસ્તકો બદલવાનો  નિર્ણય  લેવાયો હતો. ગુજરાત  રાજય  પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા મોટાભાગના પુસ્તકોની પ્રિન્ટીંગનું કામ પૂર્ણ થઇ ગયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ પુસ્તકોનું  વિતરણ  પણ  શરૂ કરી દેવામાં આવશે.

આ વખતે ધોરણ-૨થી લઈને ધોરણ-૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે એપ્રિલથી  શરૂ  થતાં  નવા શૈક્ષણિક  વર્ષથી  નવા  પુસ્તકો અમલમાં આવશે. ધોરણ-૨થી ધોરણ-૭ના  પુસ્તકોમાં  પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાતી,  પર્યાવરણ, તેમજ ચિત્ર સહિતના પુસ્તકો બદલાયા  છે. તેમજ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના  પુસ્તકોમાં  ફેરફાર થયો છે. ધોરણ-૧૦મા ઉચ્ચતર  બુનિયાદી  પ્રવાહના ત્રણ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં મોટાભાગના વિષયોની સ્વાધ્યાય પોથી બદલવામાં  આવી  છે.

આ  ઉપરાંત  ધોરણ-૯ અને  ધોરણ-૧૦માં  ગણિત અને  વિજ્ઞાન  વિષયના  પણ ફેરફાર સાથે નવા પુસ્તકો આપવામાં  આવશે.  ધોરણ ૧૨મા જીએસટીના સુધારાના પગલે  નામુ,  આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર સહિતના પુસ્તકોમાં  ફેરફાર કરાયો હતો. પુસ્તકોમાં બદલાવ અને ફેરફારના  કારણે  વિદ્યાર્થીઓ અને વાલીઓને  પણ  થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

(3:49 pm IST)