Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

એકાકી જીવન જીવતા વૃદ્ધોના આરોગ્યની ખાસ સંભાળ થશે

ગુજરાત સરકાર દ્વારા હવે નવતર અભિગમઃ ૭૦ કે તેથી વધુ વયના વયસ્કોએ વાર્ષિક ૧૦૦૦ ટોકન ફી સાથે સિવિલ ગાંધીનગરમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે

અમદાવાદ,તા.૧૬, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાતના અભિગમ થકી રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં જીવન જીવતા વયસ્કો, વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત પાયલોટ પ્રોજેક્ટ હાલ ગાંધીનગર મ્યુનિસિપલ અમલી બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સારૃ જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય વધારવા તથા નવી પેઢી શિક્ષણ, વ્યવસાય માટે વતનથી દૂર સ્થળાંતર કરતી થઈ હોઈ, એકાંકી જીવન જીવતા વૃદ્ધો-વયસ્કોની સંખ્યામાં વધારો થયો હોઈ, રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને આ નિર્ણય કર્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અમલી બનાવશે. જેમાં ૭૦ કે તેથી વધુ વયના વયસ્કોને આવરી લેવાશે. આ માટે વયસ્કો તેમના પાલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક ૧૦૦૦ ટોકન ફી સાથે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન વખતે ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો અને ઉંમરના દાખલાની સ્વયંપ્રમાણિત નકલ પુરી પાડવાની રહેશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પોજેક્ટ હેઠળ ડોકટર, સ્ટાફનર્સ અને એેટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની ગૃહ મુલાકાત દર પંદર દિવસે લઈને પ્રાથમિક તપાસણી અને સારવાર આપીને માર્ગદર્શન આપશે. આકસ્મિક સંજોગોમાં જ્યારે જ્યારે જરૃર પડશે, ત્યારે ત્યારે ગૃહ મુલાકાત લઈ સારવાર આપશે અને જરૃર પડશે તો નિદાન માટે સેમ્પલ એકઠા કરશે. આ પ્રકારની ગૃહ મુલાકાત લેશે ત્યારે તેમની સાથે બીપી માપવાનું મશીન, ઈસીજી મશીન, ઈન્હેલર, વજન કાંટો તથા વયસ્કો માટે ઉમર સાથે સંબંધિત તકલીફો માટેની સામાન્ય દવાઓ સાથે જશે, તેથી  તાત્કાલિક સારવાર સમયસર મળી રહે, લાભાર્થીઓને આ માટે કાર્ડ-બુકલેટ અપાશે. વિઝીટીંગ ડોકટરો પોતાના ઓબ્ઝર્વેશનની કાર્યવાહી નોંધ કરશે, જેથી ચેકીંગ દરમિયાન દર્દીની હિસ્ટ્રી જાણી શકાય.

(9:34 pm IST)