Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

મુખ્યમંત્રી રૂપાણીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું : સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે - મુખ્યમંત્રી વિજયભાઇ

અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વનબંધુઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સરકાર પ્રયાસરત : સૌનો સાથ-સૌનો વિકાસ માટે સંકલ્પબદ્ધ આ સરકાર પીડિત, શોષિત અને કચડાયેલા લોકોને સમાજની મુખ્ય ધારામાં સમાવવા સંકલ્પબદ્ધ - CM રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સરકારે વનબંધુ યોજના થકી રૂપિયા એક લાખ કરોડ થી વધુ રકમ વનબંધુઓના વિકાસ માટે ઉપયોગમાં લીધી છે. વર્તમાન સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વનબંધુઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સરકાર પ્રયાસરત છે. 

જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા નિર્મિત વેબસાઈટ અને ઈ-પત્રિકાના વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વનબંધુ વિસ્તારોમાં મેડિકલ કોલેજ, એકલવ્ય સ્કુલ, વિજ્ઞાન પ્રવાહ માટે વિશેષ વર્ગો, સિકલ એનિમિયાથી મુક્તિ અપાવવાના સઘન પ્રયાસો તેમજ પેસા-એક્ટનો અમલ સરકારની વનબંધુઓના સર્વાંગી વિકસ પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. 

તેઓએ ઉમેર્યું કે, જંગલમાં જે ખેતી કરે તે જ માલિક બને તે માટે વર્તમાન સરકારે ૧.૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે.

મુખ્યમંત્રીએ અઢી દાયકા પૂર્વ વનબંધુઓની પરિસ્થિતિ અંગે મત વ્યક્ત કરતા કહ્યું કે,  ભૂતકાળમાં ગુજરાતના વનબંધુઓ બાબતે માત્ર રાજકારણ થતું પણ કોઈ વિકાસના કામો થતા નહીં. શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ વિકાસની મુખ્યધારાથી દૂર રહી ગયેલા વનબંધુઓને શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, રસ્તા વગેરે સુવિધાઓ પહોંચતી થઈ. આમ આપણે ભૂતકાળમાં દાયકા સુધી ઉપેક્ષિત રહેલી આદિજાતિઓને વનબંધુ કલ્યાણ યોજનાથી વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીએ ,તેમ તેમણે ઉમેર્યું હતું

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંગ્રેજોના ડાંગમાં પ્રવેશી શક્યા ન હતા તો માનગઢમાં જલિયાવાલા બાગથી પણ મોટો અત્યાચાર વનબંધુઓએ સહ્યો હતો. ઉપરાંત સોમનાથ મંદિરના રક્ષણ માટે વનવાસી એવા હમીરજીનું બલિદાન યાદ કરી મુખ્યમંત્રીએ વનબંધુઓના ભારતભૂમિ પ્રત્યેની દેશદાઝને બિરદાવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વનબંધુઓના વિસ્તારમાં ડર, ભ્રમ અને અસત્યના આધારે અમુક તત્વો નક્સલવાદ જેવા દુષણ દાખલ કરવામાં સફળ ન નિવડે તે માટે સરકાર સજાગ અને કાર્યરત છે

તેમેણે વધુમાં કહ્યું કે, ભારત એક વિશાળ રાષ્ટ્ર અને તેની અનેકવિધ પરંપરાઓ અને બહુમૂલ્ય ધરોહરને સાચવી સ્વાભિમાનથી ચાલવા વાળું રાષ્ટ્ર છે. આજે પણ મોગલો અને અંગ્રેજોની પેઠે સમાજને ગેરમાર્ગે દોરી ભારતની એકતા-અખંડિતતાને તોડનારા તત્વો હયાત છે. તો સામા પક્ષે ભારતવર્ષના દરેક કાળખંડમાં દેશ માટે મરીમીટનરા-કામ કરનારા વીરલાઓની શૃંખલાઓ પણ આગળ આવતી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે ઘણા રાજ્ય અને સાથે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને અક્ષુણ્ય રાખવા માટે દિન-રાત પ્રયાસરત છે. સૌનો સાથ-સૌનો વિકાસ માટે સંકલ્પબદ્ધ આ સરકાર પીડિત, શોષિત અને કચડાયેલા લોકોને સમાજની મુખ્ય ધારામાં સમાવવા સંકલ્પબદ્ધ છે. લોકો પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત અને ઊંચનીચના ભેદ ભૂલીને સૌ ભારતિય એક એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર માટે પ્રયત્નશીલ રહે તે આવશ્યક છે. ભારતમાતા પરમ વૈભવના શિખર પર બિરાજમાન થાય તે સૌની મનોકામના છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જનજાતિ કલ્યાણ આશ્રમને વેબસાઈટ અને ઈ-પત્રિકાના લોંચિંગ માટે ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય સંગઠન મંત્રી  અતુલજી જોગ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ  શૈલેષભાઈ પટેલ અને ટ્રસ્ટી સરદાર ધામ- વિશ્વ ઉમિયા ફોઉંડેશન  વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(7:21 pm IST)