Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમદાવાદ : મેલેરિયાના ૧૮ દિવસમાં ૮૭૫ કેસો નોંધાયા

૧૮ દિવસમાં ઝેરી મેલેરિયાના ૧૬૯ કેસો થયાઃ શાહપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, સરખેજ, થલતેજ, નિકોલ, રામોલ, વટવા, ઇન્દ્રપુરી, વાસણામાં કોલેરા કેસ

અમદાવાદ, તા.૨૦: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વરસાદી માહોલ હોવાના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો અવિરતપણે સપાટી પર આવી રહ્યા છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૫૧૫, કમળાના ૩૧૮, ટાઈફોઈડના ૩૧૫ અને કોલેરાના ૧૬ કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ૧૮ દિવસના ગાળામાં સાદા મેલેરીયાના ૮૭૫, ઝેરી મેલેરીયાના ૧૬૯, ડેંગ્યુના ૫૨ અને ચીકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે.  જેના પરિણામ સ્વરુપે તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. ઓગસ્ટ-૨૦૧૭ દરમિયાન લોહીના લેવામાં આવેલા ૧૫૨૯૮૦ નમૂનાની સામે ૧૮ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં ૬૪૦૩૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ઓગસ્ટ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૬૪૨ સિરમ સેમ્પલ સામે ૧૮ ઓગસ્ટ ૨૦૧૮માં હજુ સુધી ૬૩૯ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮માં શાહપુર,  ખાડીયા, અસારવા, સરસપુર, નરોડા, કુબેરનગર, સરખેજ-૨, થલતેજ, નિકોલ, રામોલ, અમરાઈવાડી-૨, વટવા, ઇન્દ્રપુરી, વાસણા વોર્ડમાં કોલેરાના ૧૬ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થવિભાગ દ્વારા રોગચાળાના અટકાયતી પગલા રુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૨૧૫૨૦ રેસિડેન્ટલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૬૬૯૦૫૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે તથા હાઈરિસ્ક વિસ્તારો અને કેસ નોંધાયેલા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૧૮૯૦ પાણીના સેમ્પલ બેક્ટોરિયલ લોજીકલ ટેસ્ટ માટે લવામાં આવ્યા છે. મોબાઇલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવારની કામગીરી થઇ છે ફુટ સેફ્ટી દ્વારા માસમાં ૧૬૪ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. ૧૧૫૬૮ કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરાયો છે.

(9:59 pm IST)