Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો મંત્રીના હસ્તે શુભારંભ

રાજકોટ તા.૨૦ : રાજ્યના આદિજાતી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ ૨૦૧૭માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો છે.

આજે અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત કરવામાં આવનાર છે. એ પૈકી ગાંધીનગર ખાતે આજે બે કચેરીઓનો શુભારંભ કરાયો છે. જેમાં અધિક કલેકટરશ્રી કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં વડોદરા અને સુરત ખાતે આવી બે કચેરીઓ કાર્યરત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે બ્લોક નંબર ૧૩, જુના સચિવાલય અને બિરસા મુંડા ભવન ખાતે કાર્યરત થયેલી આ કચેરીઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, મહેસાણા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે. જયારે વડોદરા ખાતે કાર્યરત થનાર કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લો તથા સુરત ખાતેની કચેરીમાં સુરત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાને આવરી લેવાશે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શ્રી અભેસિંહભાઈ તડવી, કુંવરજીભાઇ ડીંડોળ, મોહનભાઇ ઢોઢિયા, આનંદભાઈ પટેલ નરેશભાઈ પટેલ, રમેશભાઈ કટારા, શૈલેષભાઈ ભાભોર, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ સહિત આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિલીપ ગજજર/ભરત ગાંગાણી.

(4:02 pm IST)