Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કપડવંજમાં નદી પાસેથી મળેલ આધેડની લાશનો ભેદ ઉકેલી લેતી પોલિસ: જમીન બાબતે બહેને જ ભાઈને પતાવી નાખ્યો : ચારની કરી અટકાયત

કપડવંજ તાલુકાના આતરસુંબા પાસે કૈલાશનગર બ્રિજની નજીક નર્મદા કેનાલમાંથી મળેલ લાસનો ભેદ ખેડા જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે. નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે રહેતા આધેડને પોતાની બહેન અને બહેનના સસરા સાથે જમીન ગીરો રાખવા બાબતે ઝઘડો ચાલતો હતો. જે ઝઘડાના કારણે બેહેને જ પોતાના સાસરીયાઓ સાથે મળી ભાઇની હત્યા કરી નાખી હોવાનો ચોકાવનારો ખુલાસો પોલીસ તપાસ દરમ્યાન થવા પામ્યો છે. ગત તા.૧૭ જુલાઇના રોજ કપડવંજ તાલુકાના આતરસુંબા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક લાસ મળી આવી હતી. કેનાલમાં લાસ તરતી હોવાના સમાચાર મળતા જ આતરસુંબા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઇ હતી, જેને બહાર કાઢી તેની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન મૃતક પીપળાતા ગામનો હોવાની જાણ થતા પોલીસે પીપળાતા ગામમાં તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન મહેશભાઇ અદાભાઇ ઝાલા (રહે. આદરજીના મુવાડા ફાતીયાબાદ)નાઓ શકના દાયરામાં આવી ગયો હતો. પોલીસે મહેશને બોલાવી પુછપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા. અને સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ અપાયો તે સીલસીલાબદ્ઘ રીતે જણાવી દીધુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ મૃતક બુધાભાઇની બહેન ગુલીબેનના પતિ મૃત્યુ પામ્યા બાદ તેઓએ પોતાની જમીન સસરા રામાભાઇને ગીરો આપી હતી. અને તે બાબત ગુલીબેનના ભાઇ બુધાભાઇને પસંદ ન હતી. જેથી બુધાભાઇ અવાર નવાર બહેન ગુલીબેનના ઘરે જઇ તેમના સસરા રામભાઇ સાથે ઝઘડો કરતો હતો, અને તેમને જાનથી મારી નાખવાની ધમકી ઓ આપતો હતો. વારંવાર ભાઇ દારૂ પીને પોતાની સાસરીમાં આવતો હોઇ ગુલીબેનને પણ તે પસંદ ન હતુ. બુધાભાઇ ગુલીબેનને અવાર નવાર ભુવા પાસે જઇ મુઠ મારી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેથી પોતાના ભાઇ બુધાભાઇનું જ કાંસળ કાઢી નાખવા સારૂ ગુલીબેન અને તેમના સસરાએ પ્લાન બનાવ્યો હતો. સાસરીયાઓના બનાવેલા પ્લાન મુજબ તા.૧૬ જુલાઇના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ ગુલીબેન, બુધાભાઇ તેમજ સસરા રામાભાઇ અને સાળો ગીરીશભાઈ આવેલા. અને રાતે ભુવા પાસે જવાનું છે તેમ કહી સંબંધીના ઘરે રોકાયા હતા. રાત્રે સાડા આઠ વાગ્યા બાદ ચારેય જણા ફાતિયાબાદ થઇ દાસલવાડા થઇ કપડવંજ જતા નહેર તરફ નિકળ્યા હતા. દરમ્યાન રામાભાઇએ બુધાભાઇને પોતાના બાઇક પાછળ બેસાડી દીધા હતા. કપડવંજ તરફ જતા સમયે કેનાલ પરથી પસાર થતા રામાભાઇએ પેસાબ જવાના બહાને બાઇક ઉભુ કર્યુ હતુ. અને બુધાભાઇ પેસાબ કરવા ગયા તે સમયે માથામાં લાકડાનો દસ્તો મારી તેમની હત્યા કરી નાખી હતી. જે બાદ બુધાભાઇની લાશને ઉચકીને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. હત્યાના આ ષડયંત્રનો પર્દાફાસ થતા પોલીસે મહેશભાઇ અદાભાઇ ગોતાભાઇ ઝાલા (ઉ. વ. ૩૬ રહે. આદરજીના મુવાડા તા.કપડવંજ), રામાભાઇ ઐતાભાઇ ફુલાભાઇ વાઘેલા (ઉ. વ. ૬૦ રહે. ચકલાસી ધરમપુરા નિશાળ પાસે),ગુલીબેન કનુભાઇ વાઘેલાની અને ગીરીશભાઇ રામાભાઇ વાઘેલા (ઉ. વ. ૨૬ રહે. ધરમપુરા બે નંબરની સોસાયટી પાસે તાબે ચકલાસી)નાઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:44 pm IST)