Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી

કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્‍ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ

અમદાવાદ, તા.૨૦: રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્‍ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડી નાંખી છે. ગોતા ખાતે ગઇકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજની ૯૨ સંસ્‍થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી છે. પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્‍ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતાં પોલીસ અટકાયત કરે તે મુદે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. એટલું જ નહીં, આગેવાનોએ પોલીસ ખોટી રીતે નજરકેદ અને અટકાયત ન કરે તે માટે કોર્ટ પાસે દાદ પણ માંગી છે. આ મુદ્દે સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્‍યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી. જેથી હવે ગુજરાતભરમાં પરશોત્તમ રૂપાલાની વિરોધમાં પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાને માફી આપવા માટે ક્ષત્રિયો તૈયાર નથી.

અમદાવાદ ખાતે રાજપૂત સંસ્‍થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ ૨ કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્‍ફરન્‍સ યોજાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્‍વની જાહેરાત કરી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્‍યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આ સંદર્ભે જણાવ્‍યું હતું કે ૧૪ તારીખે સંમેલનમમાં અલ્‍ટીમેટમ આપ્‍યું હતું. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્‍યો નથી, જેથી  અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. રાજ્‍યની ૨૬ લોકસભામાં ૧૨૦થી વધુ સંસ્‍થાના આગેવાન બેઠકમાં હાજર રહ્યા હતા.

(3:19 pm IST)