Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સાસરિયાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી વિદ્યાનગરની પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર

વિદ્યાનગર:ની પરિણીતાએ સાસરીયાઓના શારીરીક-માનસિક ત્રાસથી ત્રસ્ત થઇને અગન પિછોડી ઓઢી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાનગર પોલીસે સાસરી પક્ષના ૪ વ્યકિતઓ વિરુદ્વ ગૂનો નોંધીને તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે. 
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતોમાં વિદ્યાનગરના નાના બજારના હરિઓમ નગરમાં રહેતા હંસાબેન પ્રકાશભાઇ સોલંકીને તેમના સાસરીયાઓમાં ભગવાનભાઇ હરિભાઇ, મધુબેન ભગવાનભાઇ, દિલીપભાઇ, ઇન્દુબેન દિલીપભાઇ (તમામ રહે. હરિઓમનગર, વિદ્યાનગર) માનસિક ત્રાસ ગૂજારતા હતા. વધુમાં પરિણીતા હંસાબેનના આ બીજી વખતના લગ્ન હોવાથી સાસરીયાઓ દ્વારા અવારનવાર મ્હેણાં-ટોણાં મારવામાં આવતા હતા. 
ગત ૧પ એપ્રિલના રોજ સાસરીયાઓ દ્વારા હંસાબેનને મ્હેણાં મારીને ત્રાસ ગૂજાર્યો હતો ઉપરાંત તેણીનો ચોટલો પકડીને, માર મારીને નીચે પાડી દીધા હતા. આ ઘટનાથી મનમાં લાગી આવતા હંસાબેને પોતાના શરીર પર કેરોસીન છાંટી દીધું હતું. મધુબેને તે વખતે દિવાસળી આપતા હંસાબેન સળગી જવા પામ્યા હતા. જો કે બૂમાબૂમ થતા તેઓને બચાવવા માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. હોીસ્પટલમાં ફરજ પરના ડોકટરે સારવાર આપી હતી. જો કે શરીરે ૯પ ટકા દાઝી ગયેલની સ્થિતિમાં હંસાબેન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે. આ અંગે વિદ્યાનગર પોલીસે માનસિક ત્રાસ આપનાર સાસરીયા વિરુદ્વ ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)