Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રાજ્યમાં ૨૪મી ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રીઃ ૨-૩ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી આગાહી

અમદાવાદ, તા.૧૯, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળેલી ઠંડીની અસર બાદ આજે આકાશ વાદળછાયુ જોવા મળ્યું હતું. ઘાડ ધુમ્મસ અને વાદળછાયા આકાશની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ખાસ નોંધપાત્ર વધારો થવાની સંભાવના નથી. આ સાથે જ આકાશ વાદળછાયુ રહેશે પરંતુ ૨૪મી ડિસેમ્બરથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસતી જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં થયેલ હિમવર્ષાના પગલે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો જેને લઇને રાજ્યમાં અમદાવાદ સહિત છેક કચ્છમાં આવેલા નલિયા ખાતે પણ નોંધપાત્ર અસર જોવા મળી હતી. બીજી તરફ રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આપતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનાર ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઇ ફેરફાર નોંધાશે નહીં. આજે નલિયા અને ભુજ ખાતે લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યું હતું જ્યારે અમદાવાદ ખાતે લઘુત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવનારા બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે જેને પગલે દિવસના સમયે ગરમીનો અનુભવ પણ થઇ શકે છે. આ સાથે જ ૨૪મી ડિસેમ્બરથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની પણ હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. આમ ક્રિસમસ અગાઉ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ફરી એકવખત અનુભવાશે. રાજ્યમાં ગત સપ્તાહે ૧૪મી ડિસેમ્બરથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો જેને લઇને રાજ્યમાં નગરજનોએ સાંજના અને વહેલી સવારના સમયે પણ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો જેમાં આવનારા બેથી ત્રણ દિવસો દરમિયાન રાહતો મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ક્રિસમસનો પર્વ આવી રહ્યો છે ત્યારે ફરી એકવખત વિવિધ વિસ્તારોમાં શીતલહેરની અસરના પગલે ઠંડીનો ચમકારો અનુભવાશે જેને લઇને લઘુત્તમ તાપમાનમાં પણ ફરી એકવખત ઘટાડો નોંધાશે એમ માનવામાં આવી રહ્યું છે.

(9:56 pm IST)