Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

૮ સપ્તાહમાં કાયમી ડીજીપીની વરણી કરવા સરકારને આદેશ

નિમણૂંક અંગેની પીઆઇએલમાં હાઇકોર્ટનો હુકમ : ચૂંટણી પૂર્ણ થઇ ગઇ હોઇ, ચૂંટણી આચારસંહિતાની બાબત હવે રહેતી ન હોઇ કાયમી ડીજીપીનો માર્ગ મોકળો થયો

અમદાવાદ, તા.૧૯ : ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી)ની કાયમી નિમણૂંક નહી થતી હોવાના મુદ્દે કરાયેલી અગત્યની જાહેરહિતની રિટ અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે ૮ સપ્તાહમાં કાયમી ડીજીપીની નિમણૂંક કરવા રાજય સરકારને મહત્વનો આદેશ કર્યો છે. ચૂંટણી પૂર્ણ થઇ જતાં અને આચારસંહિતાની બાબત હવે રહેતી નહી હોઇ હાઇકોર્ટે રાજયમાં ડીજીપીની નિમણૂંક અંગે મહત્વનો હુકમ  કરી પિટિશનનો આખરે નિકાલ કર્યો હતો. પૂર્વ આઇપીએસ અને એડવોકેટ રાહુલ શર્મા દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજયના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જેવા મહત્વના હોદ્દા પર કાયમી નિમણૂંક કરવામાં આવતી નથી. જેના કારણે રાજયમાં પોલીસતંત્રની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સીધી અસરો પડી રહી છે. સરકાર દ્વારા હાલ ઇન્ચાર્જ ડીજીપીથી કામ ચલાવાઇ રહ્યું છે પરંતુ તે યોગ્ય ના કહી શકાય. બીજીબાજુ, પોલીસનું પણ મોરલ ડાઉન થઇ રહ્યું છે. ગત તા.૪-૪-૨૦૧૬ના રોજ પી.પી.પાંડેને ઇન્ચાર્જ ડીજીપી પદેથી હટાવાયા હતા., ત્યારબાદ ગીથા જોહરીને પણ ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો કાર્યભાર સોંપાયો છે. પોલીસ એકટ-૨૦૦૭માં કાયમી ડીજીપીની નિમણૂંકની સ્પષ્ટ જોગવાઇ હોવાછતાં સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવી નથી રહ્યું., તેથી હાઇકોર્ટે રાજયમાં ડીજીપીની કાયમી નિમણૂંક કરવા સરકારને આદેશ કરવો જોઇએ.આ કેસમાં હાઇકોર્ટે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવી જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે ગઇ મુદતમાં જણાવ્યું હતું કે, કાયમી ડીજીપીની નિમણૂંક મામલે સરકાર ગંભીર છે અને તેની પર વિચારણા ચાલી રહી છે પરંતુ હાલ વિધાનસભા ચૂંટણીને લઇ રાજયમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઇ હોઇ હવે સરકાર આ નિમણૂંક હાલ કરી શકે તેમ નથી કારણ કે, તમામ વહીવટી સત્તાઓ હવે ચૂંટણીપંચ હસ્તક થઇ ગઇ છે. સરકારની આ રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે ચૂંટણીપંચને પણ અગાઉ આ કેસમાં પક્ષકાર બનાવવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે પણ ચૂંટણીની પ્રક્રિયા અને આચારસંહિતાને લઇ ટૂંક સમયમાં જ નિર્ણય લેવા બાબતે હૈયાધારણ આપી હતી. જો કે, ત્યારબાદ હાઇકોર્ટના વલણને ધ્યાનમાં લઇ કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે રાજયના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિમણૂંક થઈ હતી.

(8:43 pm IST)