Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જળ સંચય યોજનામાં 'ધન સંચય' : કરોડોનો ભ્રષ્ટાચારઃ રાજસ્થાનના સ્કુટર-રિક્ષાથી ખોદાયા તળાવ

કાગળ પર જ બન્યા કરોડોના પ્રોજેકટ

અમદાવાદ તા. ૧૯ : રાજસ્થાનથી લવાયેલા સ્કૂટર, રિક્ષા અને જીપથી ગુજરાતમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં તળાવ ખોદાયા તેવું તમને કોઈ કહે તો તમે માનવા તૈયાર ન થાઓ. પરંતુ ભ્રષ્ટાચારીઓ માટે કાગળ પર ગમે તે બતાવવું શકય છે. આવું જ થયું છે 'ભ્રષ્ટાચાર મુકત' ગુજરાતમાં થયેલા એક મોટા કૌભાંડમાં.

માત્ર તળાવો જ નહીં, ગુજરાતમાં તો સ્કૂટર અને રિક્ષાથી પાણીના ટાંકા બન્યાના પણ દાખલા છે. ફરક એટલો છે કે વાહનો માત્ર કાગળ પર દોડ્યાં હતાં, અને તેના માટે કરોડો રુપિયાનો ખર્ચો પણ કરાયો હતો. હાલમાં જ બંધ કરી દેવાયેલા ગુજરાત જમીન વિકાસ નિગમ (GLDC) દ્વારા આ કાંડ આચરવામાં આવ્યો હતો, અને 'જળ સંચય યોજના' હેઠળ ખેડૂતો સાથે ક્રૂર મજાક કરાઈ હતી.

૨૧ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ

એન્ટી કરપ્શન બ્યૂરોએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, જમકંડોરણા, ધોરાજી, નાના માડવા, કોટડા-સાંગાણી તેમજ ગોંડલમાં રાજસ્થાનથી 'જેસીબી' તરીકે લવાયેલા સ્કૂટર, રિક્ષા અને જીથી તળાવો ખોદવામાં આવ્યા હતા. આ મામલે એસીબીએ ૨૧ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ કર્યા છે.

રાજસ્થાનના વાહનો કેમ બતાવાયા?

એસીબીના સ્પેશિયલ ડિરેકટર કેશવ કુમારના જણાવ્યા અનુસાર, જો નજીકના વિસ્તારથી જેસીબી લવાય તો તેને સરળતાથી શોધી શકાય, પરંતુ તેનાથી બચવા કોન્ટ્રાકટરોએ રાજસ્થાનમાં નોંધાયેલા વાહનોને 'જેસીબી' તરીકે બતાવી બિલો પાસ કરાવી લીધા હતા. એસીબીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ખરેખર તો આ વાહનો જેસીબી હતા જ નહીં.

છેક ૨૦૦૩થી ચાલતા કરોડોના ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતી એસીબીની ટીમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ૧૩ જેટલા જિલ્લામાં GLDC દ્વારા ખેત તલાવડીઓ ખોદવાનું કામ કરાતું હતું. આ વર્ષે તેમજ અગાઉના વર્ષોમાં આ વિભાગને અપાયેલા બજેટના ૬૫ થી ૭૦ ટકા રૂપિયાનો સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે બારોબાર વહીવટ થઈ જતો હતો.

GLDCને દર વર્ષે ૩૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવતું હતું. આ વર્ષે માર્ચ મહિનામાં જ તેમાં ચાલતું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. લાંબા સમયથી તેમાં ગેરરીતિ ચાલતી હોવાનું ધ્યાને આવ્યા બાદ ગુજરાત સરકારે જમીન વિકાસ નિગમ ખાતાનો જ વીંટો વાળી દીધો હતો.

(4:22 pm IST)