Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

બોગસ પેઢીનામાના આધારે જમીન હક્કપત્રકની નોંધ રદ

ઘાટલોડિયાની વિધવાને આખરે ન્યાય મળ્યો : બોગસ પેઢીનામું કરી મૃતક પુત્રનું નામ કાઢી નાંખી વિધવા પૂત્રવધુ અને પૌત્રીનો હિસ્સો પચાવી પાડવા કાવતરું રચ્યું

અમદાવાદ, તા.૧૯ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક પરિણિતાના પતિના ૨૦૦૫માં મૃત્યુ બાદ તેના સાસરિયાઓ દ્વારા માણસાના ચરાડા ગામની જમીનમાં વારસદાર તરીકે કાયદેસર હકદાર હોવાછતાં જમીનના પેઢીનામાંમાં પોતાનો પુત્ર છે જ નહી તેવું દર્શાવી વિધવા પૂત્રવધુ અને પૌત્રીને હિસ્સામાંથી બાકાત કરી બારોબાર જમીન વેચી મારવાના કૌભાંડમાં વિધવા પૂત્રવધૂએ જમીનના હક્કપત્રકની વિવાદીત ફેરફાર નોંધને રદબાતલ ઠરાવવા કલોલના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. જેની સુનાવણીમાં કલોલ પ્રાંત અધિકારીએ પ્રસ્તુત કેસમાં વિવાદીત હક્કપત્રક ફેરફાર નોંધ પ્રમાણિત કરતો તા.૧૭-૮-૨૦૧૨નો નિર્ણય રદ કર્યો હતો અને નવેસરથી આ મામલે ફરિયાદી પૂત્રવધુને સાથે રાખી તમામ વારસદારો દર્શાવતું પેઢીનામું મેળવી હયાતીમાં હક્ક દાખલ કરવા અંગે નવેસરથી નોંધ કરી સંબંધિત લોકોને ૧૩૫(ડી)ની નોટિસની બજવણી કરી નિર્ણય કરવા મામલતદારને હુકમ કર્યો હતો. સૌથી નોંધનીય વાત એ છે કે, પ્રાંત અધિકારીએ જે વિવાદીત પેઢીનામું રજૂ કરાયું હતું તેને પણ ખોટુ જાહેર કર્યું હતું. આ સમગ્ર મામલામાં પૂત્રવધુએ પોતાના સાસરિયાઓ વિરૂધ્ધ માણસા પોલીસમથકમાં ફરિયાદ પણ દાખલ કરી હતી, જેના અનુસંધાનમાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વંદે માતરમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વર્ષાબહેનના લગ્ન સાબરમતી વિસ્તારમાં ડેકેબીન પાસે ઉમદા પાર્ક સોસાયટી ખાતે રહેતા અને મૂળ માણસા તાલુકાના ચરાડા ગામના વતની રમણલાલ ત્રિવેદીના પુત્ર સંદીપભાઇ સાથે મે-૧૯૯૫માં થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ પતિ-પત્નીમાં લગ્નજીવનની તકરારોને લઇ વાત કોર્ટ સુધી પહોંચી હતી. વર્ષાબહેને તેમના સાસરીપક્ષ વિરૂધ્ધ શહેરની મીરઝાપુર સ્થિત ગ્રામ્ય કોર્ટમાં ૪૯૮ નો ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો, જે આજદિન સુધી પડતર છે. સાસરિયાઓ પક્ષની હેરાનગતિથી ત્રસ્ત થઇ વર્ષાબહેન પોતાના પિયર રહેવા આવી ગયા હતા, વર્ષાબહેન જાતે જ પોતાની પુત્રી અંજલિનો એકલાહાથે ઉછેર અને તેને ભણાવવાના કામમાં લાગી ગયા હતા. ૨૦૦૫માં તેમના પતિ સંદીપભાઇનં નિધન થયું હતું. પતિની ગેરહાજરીમાં પણ સાસરિયાઓના ત્રાસ, ઉપેક્ષા અને હેરાનગતિ વચ્ચે પણ વર્ષાબહેને પોતાની પુત્રીને ભણાવી ગણાવીને મોટી કરી અને આજે તેને નોકરી કરતી કરી દીધી છે. જો કે, દિલમાં આજેપણ એક વસવસો અને અફસોસ છે અને તે એ છે કે, તેઓ તેમની પુત્રી અંજલિને તેનો કાયદેસરનો અને સામાજિક અધિકાર અપાવી શકયા નથી. તેનું કારણ એ છે, વર્ષાબહેનના પતિ સંદીપભાઇના મૃત્યુ બાદ તેમના સસરા રમણલાલ ત્રિવેદીએ જયારે ૨૦૧૨માં એક પેઢીનામું બનાવ્યું ત્યારે તેમાં તેમના વારસદારોમાં સાસુ, બે નણંદોના નામ દર્શાવ્યા પરંતુ પુત્ર સંદીપભાઇનું નામ દર્શાવ્યું નહી, પુત્ર મૃત્યુ પામ્યો હોઇ મરહુમ કે મૈયત શબ્દનો ઉપયોગ કરવો પડે અથવા તે મૃત્યુ પામ્યો હોય તો પણ તેની નોંધ લેવી પડે તેમ છતાં વર્ષાબહેનના સસરા રમણલાલ ત્રિવેદીએ  ખોટી હકીકતોના આધારે બોગસ પેઢીનામું તૈયાર કરી તેના આધારે રેવન્યુ એન્ટ્રીમાં ઉમેરો અને ફેરફારો કરાવડાવાયા હતા. આમ, પોતાના સસરા રમણલાલ ત્રિવેદીનું આવું ગંભીર ગુનાહીત કૃત્ય ધ્યાનમંાં આવતાં તેમણે તપાસ કરી તો, જાણવા મળ્યું કે, તેમના સસરાએ ચરાડા ગામની રેવન્યુ સર્વે નં-૧૧૯૪ની ખાતા નંબર-૧૬૨૦વાળી સંબધિત જમીન પૈકીની ૨૨ ગુંઠા જમીન બારોબાર ત્રાહિત વ્યકિતને વેચી મારી હતી. વર્ષાબહેને આ સમગ્ર મામલે માણસા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, આખાય કેસમાં વાત એટલી જ છે કે, માણસ મિલકત કે સંબંધોની તિરાડમાં પોતાના સગા પુત્રના અસ્તિત્વને જ મીટાવવાનો પ્રયાસ કરે તે સમાજમાં બોધપાઠ લેવા જેવો કિસ્સો કહી શકાય. સસરાની આ હરકતથી તપાસ કરનાર પોલીસ અધિકારીઓથી માંડી સરકારી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. સૌએ વયોવૃધ્ધ સસરાને એક જ સલાહ આપી હતી કે, દાદા તમારી ભૂલ સુધારી લો અને પેઢીનામામાં જરૂરી સુધારો કરી દો નહી તો, કાયદાકીય ચુંગાલમાં સપડાવું પડશે. વર્ષાબહેનની એક જ ઇચ્છા કે, મારી તો જીંદગી ભલે બગડી પરંતુ મારી પુત્રી કે જે તેના પિતાની કાયદેસરની વારસ છે, તેનો સામાજિક દરજ્જો તેણીને અપાવી શકું બસ.

(9:22 pm IST)