Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભારત નિર્માણ વિષય ઉપર સામ પિત્રોડાનો સંવાદઃ ભાજપ ઉપર આકરા પ્રહાર

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડા આજે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેઓ આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે યુવાનો સાથે સંવાદ કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. પિત્રોડા અમદાવાદમાં ભારત નિર્માણ વિષય પર સંવાદ કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમના ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રેસની સ્વતંત્રતા પર ખતરો છે

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, આ ચૂંટંણી મોદી અને ગાંધી વચ્ચે કે ભાજપ અને કોગ્રેસ વચ્ચે નહિ, પણ આ ચૂંટણી ભારતની પ્રજાની છે. મારા જન્મ સમયે ગાંધી વિચારો મહત્વપુર્ણ હતા. અત્યારે ગાંધી વિચારો એક મોટી ચેલેન્જ છે. લોકશાહી પર હુમલા  થાય છે. અસત્યનો મારો થાય છે. પ્રેસની સ્વતંત્રતા પર ખતરો છે. તમામ ચેનલોમાં વડાપ્રધાન સિવાય કોઇ હોતું નથી. તમે ખુલ્લા વિચારે કંઇ કહી શકતા નથી. અત્યારે લોકોએ એ બતાવવાનું છે કે દેશ કંઇ રીતે બન્યો છે. મોદી કહે છે, કોગ્રેસે કંઇ નથી કર્યું, પણ કોંગ્રેસ ઘણું કર્યું છે. દેશ આઝાદ થયો ત્યારે ૭૦ ટકા લોકો ગરીબ હતા. દેશમાં આઇઆઇએમ, એનઆઇડી સહિતની શિક્ષણ સંસ્થાઓ કોંગ્રસના શાસનમાં મળી છે. ટેલિકોમ ક્રાંતિ કોંગ્રેસના સમયમાં થઇ. અમે લાખો રોજગારી પેદા કરી.

સામ પિત્રોડાનો ભાજપ પર પ્રહાર

ભાજપ પર પ્રકાહ કરતા સામ પિત્રોડા બોલ્યા કે, વડાપ્રધાને વર્ષ 2014માં જે વાયદા કર્યા હતા, એમાંથી એક પણ પૂર્ણ થયો નથી. ગિફ્ટ સિટીના દાવા હતા, પણ હજુ ૩૦૦ એકર જગ્યા ખાલી છે. કોઇ ફાયનાન્શિયલ હબ ઉભુ થયું નથી. નેનો નું શું થયું એની કોઇને ખબર નથી. મારા નિવેદનોને ખોટી રીતે લઈ ચર્ચા કરવામાં આવી છે, જેથી પિત્રોડા વધારે બોલે નહિ. પણ હુ કહીશ. 1૦૦ સ્માર્ટ સિટીની જાહેરાતમાં કેટલા બન્યા.

જો એર સ્ટ્રાઇક કરી હોય તો તેના પુરાવા માંગવાનો મને હક છે

આજે ભારત નિર્માણ વિષય પર યુવાનો સાથે સંવાદ કર્યા બાદ સામ પિત્રોડાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ આજે અમદાવાદમાં એક વિવાદિત નિવેદન આપીને ફરીથી અહેવાલોમાં ચમક્યા હતા. સામ પિત્રોડાએ ભાજપે પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓ પર કરેલી એર સ્ટ્રાઇકને લઇને નિવેદન આપ્યું હતું. તેમાં તેમને જણાવ્યું કે, ભાજપ ગુજરાતની જનતાને ભોળવીને પોતાના જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે. ભાજપે જો પાકિસ્તાનમાં જઇને એર સ્ટ્રાઇક કરીને આતંકીઓને માર્યા હોય તો તેના પુરાવા માંગવાનો મને હક છે.

પત્રકારો સાથે ગેરવર્તણૂંક

સામ પિત્રોડાએ અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં મીડિયાને પોતાની જવાબદારી કઈ રીતે નિભાવવી તેનું ભાન કરાવતું વિવાદિત નિવેદન આપ્યું હતું અને મીડિયા સાથે પણ ગેર વર્તન કર્યું હતું.

(5:25 pm IST)