Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

શિક્ષકોનો પ્રશ્નઃ'અમને ચેપ નહીં લાગે?

કોરોના વાયરસઃ સ્કૂલો બંધ થતાં વિદ્યાર્થીઓને જલ્સા!

અમદાવાદ, તા.૧૯: કોરોના વાયરસ દેશ અને દુનિયામાં ફેલાઈ રહ્યો છે. એવામાં ગુજરાતમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે તકેદારીના ભાગરૂપે રાજય સરકારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. વિદ્યાર્થીઓને બે અઠવાડિયા સુધી શાળામાં રજા રહેશે પરંતુ શિક્ષકોનું શું? શિક્ષકોને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે શહેરના એક શિક્ષિકાએ રાજયના મુખ્ય સચિવને પત્ર લખીને શિક્ષકોની વ્યથા વર્ણવી છે. તેમણે લખ્યું, વિદ્યાર્થીઓ ના હોય ત્યારે શિક્ષકો શાળામાં શું કરી રહ્યા છે? શૈક્ષણિક વર્ષ પૂરું થઈ ગયું છે અને અહેવાલ આપી દેવાયા છે. તો શું અમે ઈન્ફેકશન થવાની રાહ જોઈ રહ્યા છીએ?

સરકારે લોકોને સામાજિક પ્રસંગોએ એકઠા થવાની મનાઈ ફરમાવી છે. અન્ય તકેદારીના પગલાંની સાથે મોલ-મલ્ટીપ્લેકસમાં ના જવાની સૂચના આપી છે. એવામાં ૬૦ શિક્ષકોનો સ્ટાફ સ્કૂલમાં ભેગો થાય તે ખોટું નથી?, તેમ શિક્ષિકાએ પૂછ્યું છે. કોરોના વાયરસથી બચવા રાજયભરની શાળાઓ ૧૬ માર્ચથી બંધ કરી દેવાઈ છે. ત્યારે ઈમેઈલ દ્વારા આ સવાલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ કરાઈ છે પરંતુ શિક્ષકો અને અન્ય સ્ટાફને હાજર રહેવાનો આદેશ છે.

મોટાભાગની સ્કૂલોમાં ૭૦થી ૨૫૦ લોકોનો સ્ટાફ હોય છે. સરકારે લોકોને ભેગા ન થવાની અને ઘરમાં જ રહેવાની તાકીદ કરી છે ત્યારે લાગી રહ્યું છે કે, શિક્ષકો અને સ્કૂલનો વહીવટી સ્ટાફ COVID-19 સામે લડવાની શકિત ધરાવે છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં ગુજરાત સરકારના શિક્ષણ સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) વિનોદ રાવે કહ્યું, COVID-19ના 'સૂચિત આપત્તિ' જાહેર કરવામાં આવી છે. મહત્વની સેવાઓ આપતા તમામ કર્મચારીઓ અગાઉની જેમ કાર્યરત રહેશે. શિક્ષકો મહત્વની સેવાઓ આપતા કર્મચારીઓમાં સમાવિષ્ટ છે. જે રીતે આર્મી, પોલીસ અને ડોકટરો પોતાની ફરજ છોડી શકતાં નથી તેમ શિક્ષકો પણ પોતાની ફરજ ભૂલતા નથી.

એક શિક્ષકે કહ્યું, 'અમારો ૨૦૦ લોકોનો સ્ટાફ છે અને દરેક વ્યકિત સ્કૂલે આવે છે. અમે આગામી શૈક્ષણિક સત્ર માટે આગોતરી તૈયારી કરી રહ્યા છીએ. અમે શિક્ષણવિદો કયારેય રજા લેતા નથી પછી એ COVID-19 હોય કે બીજું કંઈ પણ.' આ શૈક્ષણિક વર્ષનું મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું હોવાનું ટાંકીને અન્ય એક શિક્ષકે કહ્યું, જો અમારામાંથી કોઈ એકને પણ ચેપ લાગે તો અમે બીજા લોકો અને તેમના પરિવારોને પણ જોખમમાં મૂકી શકીએ છીએ.

SGVPના આચાર્ય પદમા કુમારે કહ્યું, પહેલા દિવસથી જ અમારા ત્યાં નિર્ણય લેવાયો હતો કે જો કોઈની તબિયત ખરાબ હોય તો તેમણે સ્કૂલને જાણ કરવી પડશે. અમારા સ્ટાફના પાંચ સભ્યો ઘરેથી કામ કરી રહ્યા છે. આ સમય છે જયારે અમે પુનરાવર્તન કસોટી અને વર્કશીટ વિદ્યાર્થીઓ માટે અપલોડ કરીએ છીએ. ઓનલાઈન કલાસ લેવા, વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે તૈયાર કરવા ઉપરાંત શિક્ષકો શાળામાં આ કામગીરી કરી રહ્યા છે.

COVID-19ના કારણે વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે ત્યારે તેમનું શિક્ષણ ના બગડે એટલે ૧૯થી ૨૮ માર્ચ સુધી રાજય સરકાર દૂરદર્શન અને રિજનલ ટીવી ચેનલ પર ધોરણ ૭થી ૧૧ માટે લેકચર ગોઠવવામાં આવશે. આ રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસક્રમનું પુનરાવર્તન કરી શકે છે. રાજયના માહિતી ખાતાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વ્યવસ્થા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે.

ધોરણ સાતના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિત વિષયના લેકચર બપોરે ૧૨થી ૪ દરમિયાન વિવિધ રિજનલ (સ્થાનિક) ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવશે. જયારે ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે સવારે ૧૧થી ૬ વાગ્યા સુધી લેકચર રાખવામાં આવશે. સરકારે જણાવ્યું, ધોરણ ૭થી ૯ના ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન પર લેકચર લેવાશે જયારે ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી, ફિઝિકસ અને બાયોલોજી ભણાવાશે. રિજનલ ચેનલો પર ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને ૨૭ માર્ચે ગણિત અને ૨૮ માર્ચે અકાઉન્ટ ભણાવાશે. ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન પર બપોરે ૩થી ૪ દરમિયાન લેકચર પ્રસારિત થશે.

(4:12 pm IST)