Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

દેશભરમાં ગુજરાતની પહેલ :ધો-૭ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા પૂનરાવર્તન-રિવીઝન વિષય નિષ્ણાંતો પ્રાદેશિક ટી.વી ચેનલ્સના માધ્યમથી કરાવશે

મુખ્યમંત્રીનો રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સંવેદનાસ્પર્શી નિર્ણય: ધો,૭ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું ઘેર બેઠા:પૂનરાવર્તન-રિવીઝન વિષય નિષ્ણાંતો પ્રાદેશિક ટી.વી ચેનલ્સના માધ્યમથી કરાવશે:. ૧૯ માર્ચથી ર૮ માર્ચ દરમિયાન દરરોજ ૧-૧ કલાક પ્રાદેશિક ચેનલ્સ પરથી પ્રસારણ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.

 

   વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિજયભાઇ રૂપાણીએ એક અભિનવ પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો સંવેદનસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રેરણા માર્ગદર્શનથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે.
વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અભ્યાસ કરી શકશે.
આવતીકાલ ગુરૂવાર તા. ૧૯ માર્ચથી ર૮ માર્ચ સુધી દરરોજ આ પ્રકારે ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.
તદ્દઅનુસાર ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ ધોરણ-૭ ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ ન્યૂઝ-૧૮ ગુજરાતી ચેનલ પરથી બપોરે ૧ર થી ૧, મંતવ્ય ચેનલ પરથી બપોરે ૩ થી ૪ અને જીટીપીએલ ચેનલ પરથી બપોરે ૧૧-૩૦ થી ૧ર-૩૦.
ધોરણ-૮ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ વી-ટીવી પરથી બપોરે ર થી ૩, ઝી-ર૪ કલાક પરથી બપોરે ૧૧ થી ૧ર અને વી-આર લાઇવ પરથી સાંજે ૫ થી ૬.
ધોરણ-૯ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ એપીબી અસ્મિતા પરથી બપોરે ર થી ૩, જીએસટીવી પરથી સાંજે ૪ થી પ અને નિર્માણ ન્યૂઝ પરથી સાંજે પ થી ૬ દરમિયાન અપાશે.
ધોરણ-૧૧માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ ટીવી-૯ પરથી બપોરે ૧ર-૩૦ થી ૧ અને ૩-૩૦ થી ૪ સુધી, સંદેશ ન્યૂઝ ચેનલ પરથી બપોરે ૩ થી ૪, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પરથી બપોરે ૪ થી પ અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી બપોરે ૩ થી ૪ દરમિયાન અપાશે.
જે પ્રાદેશિક ચેનલો ધોરણ-૧૧ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. ર૭ માર્ચના રોજ ધોરણ-૧૧ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. ર૮ માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે.

(12:36 am IST)