Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મહિલા મામલતદારને નિવૃતિ બાદ પણ પ્રમોશન માટે આદેશ

ગુજરાત હાઈકોર્ટે અતિમહત્વપૂર્ણ આદેશ આપ્યો : હવે નિવૃત થયેલ મહિલા મામલતદારને બઢતી, હાયર પે સ્કેલ અને આનુષંગિક લાભો-પેન્શન આપવા માટે આદેશ

અમદાવાદ,તા.૧૮  :    મામલતદાર(અર્ધ ન્યાયિક સત્તામંડળ) તરીકેની ફરજ દરમ્યાન ગણોત ધારા હેઠળના કેસોમાં લીધેલા નિર્ણયને ફરજમાં ગેરવર્તણૂંક ગણી મહિલા મામલતદારને પ્રમોશન, હાયર પે સ્કેલ અને તેના આનુષંગિક લાભોથી વંચિત રાખવાના સરકારના સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે, અયોગ્ય અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો ગણાવ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયાએ મહત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, અરજદાર જયારે અર્ધ ન્યાયિક સત્તામંડળ તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન લેવાયેલા નિર્ણયની ચૂક માત્રને ફરજમાં ગેરવર્તણૂંકના ધારાધોરણોમાં ગણી શકાય નહી. હાઇકોર્ટે સમગ્ર મેટર ડિસીપ્લીનરી ઓથોરીટીને મોકલી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પાસેથી પેનલ્ટીના ભાગરૂપે પેન્શનમાંથી ત્રણ વર્ષ સુધી રિકવર કરાયેલી તમામ રકમ તેણીને રિફંડ કરવા મહત્વનો આદેશ કર્યો હતો અને અરજદારનું પેન્શન રિફિક્સ કરવા માટે પણ હુકમ કર્યો હતો. સાથે સાથે હાઇકોર્ટે અરજદારને જૂલાઇ-૨૦૦૭થી પ્રમોશન આપવા ઉપરાંત, હાયર પે સ્કેલ અને તેના આનુષંગિક લાભો પણ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓને ફરમાન કર્યું હતું.

               સરકારના સત્તાવાળાઓની કિન્નાખોરી અને દ્વેષભાવનાનો શિકાર બનેલ મહિલા મામલતદાર આમ તો, ૨૦૦૯માં નોકરીમાંથી નિવૃત્ત થઇ ગયા છે પરંતુ તેણીએ પોતાના ન્યાય માટેની લડત હાઇકોર્ટમાં ચાલુ રાખી હતી અને આખરે મોડે મોડે પણ તેમને હાઇકોર્ટમાંથી ન્યાય મળ્યો છે. જેથી હાઇકોર્ટના હુકમ મુજબ, હવે તેમનું પ્રમોેશન ગણી, તે મુજબ હાયર પે સ્કેલ અને તેના આનુષંગિક લાભોની ગણતરી કરી સરકારને તેની ચૂકવણી કરવાની થશે. અરજદાર કે.આર.જોષી દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર જયારે મામલતદાર હતા ત્યારે ગણોત ધારા હેઠળના એક કેસને લઇ તેમની વિરૂધ્ધમાં ફરજમાં ગેરવર્તણૂંકને લઇ ખાતાકીય તપાસ ચાલતી હતી. એ વખતે નડિયાદ મામલતદારની રૂએ તેમણે કેટલાક ભાડુઆતને કાયમી ભાડુઆત જાહેર કર્યા હતા. જો કે, તેમનો આ નિર્ણય ગણોતધારાની કલમ૪૩-૧બીની જોગવાઇ વિરૂધ્ધનો હોવાનું સત્તાવાળાઓનું કહેવું હતું અને તેમના આ નિર્ણયથી સરકારને પ્રીમીયમમાં રૂ.૬૪ લાખથી વધુ રકમું મોટુ નુકસાન પહોંચ્યું હતું. આ પ્રકરણ સંદર્ભે અરજદારને તા.૧-૬-૨૦૦૫ના રોજ ચાર્જશીટ અપાયું હતું.

           ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી ઝડપથી પૂર્ણ થાય તે માટે અરજદારે અગાઉ હાઇકોર્ટમાં રિટ કરી હતી, જેમાં હાઇકોર્ટે તા.૩૧-૧૧-૨૦૦૮ સુધીમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પૂર્ણ કરી રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. તપાસના અંતે સમગ્ર પુરાવાઓ ધ્યાને લઇ ગત તા.૧૮-૧૦-૨૦૦૮ના રોજ ઇન્કવાયરી ઓફિસરે ઠરાવ્યું હતું કે, અરજદાર વિરૂધ્ધ કોઇ ચાર્જ સાબિત થતા નથી અને અરજદારને આરોપ મુકત કર્યા હતા. જો કે, ઇન્કવાયરી ઓફિસરના આ રિપોર્ટથી ડિપાર્ટમેન્ટલ ઓથોરીટી સહમત ના થઇ અને અરજદારને તેમના પેન્શનમાંથી ત્રણ વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા અટકાવી રાખવાની પેનલ્ટી ફટકારી હતી. અરજદાર મહિલા અધિકારી તરફથી એડવોકેટ શાર્વિલ મજમુદારે યોગીનાથ બગડે વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, એસ.પી.મલ્હોત્રા વિરૂધ્ધ પીએનબી, લવ નિગમ વિરૂધ્ધ એમડી, આઇટીઆઇ લિ.તથા અન્યોના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાઓ ટાંકી જણાવ્યું હતું કે, ગુજરાત સિવિલ સર્વિસીસ(ડિસીપ્લીન એન્ડ અપીલ) રૂલ્સ-૧૯૭૧ની રૂલ-૧૦ની સબ રૂલ(૨) મુજબ, જો કોઇ કેસમાં ડિસીપ્લીનરી ઓથોરીટી ઇન્કવાયરી ઓફિસરના તારણો-રિપોર્ટ સાથે અસહમત હોય તો પણ કોઇ નિર્ણય લેતા પહેલાં અરજદારને સાંભળવાની પૂરતી તક આપવી પડે. વળી, અરજદાર જયારે મામલતદાર અને અર્ધ ન્યાયિક સત્તામંડળ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે આપેલો નિર્ણય એ આગળ અપીલમાં જઇ શકાય તેવી વાત છે, તેમાં તેમણે તેમના ન્યાયિક ક્ષેત્રનો દૂરપયોગ કર્યો તેવું ના કહી શકાય. વળી, અરજદારે જે નિર્ણય કર્યા તેમાંથી ૨૨ કેસમાં ડિસ્ટ્રીકટ કલેકટરે મંજૂરી આપી હતી અને બે કેસમાં ડેપ્યુટી કલેકટરે પણ રિવ્યુ કર્યા હતા. એટલું જ નહી, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પેન્ડીંગ હતી તે દરમ્યાન અરજદારનું ડેપ્યુટી કલેકટર તરીકેનું પ્રમોશન અટકાવી રાખી તેમના જુનીયર્સને પ્રમોશન આપી દેવાયું હતું. હાઇકોર્ટે અરજદારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી ઉપરોકત હુકમ કર્યો હતો.

 

(9:44 pm IST)