Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હાઇકોર્ટમાં ૩૧ માર્ચ સુધી કેસોની સુનાવણી નહી થાય

કોરોનાને ધ્યાનમાં લઈ સાવચેતીરૂપે નિર્ણય : ગુજરાતની નીચલી કોર્ટમાં ૩૧ માર્ચ સુધી સુનાવણી નહી

અમદાવાદ,તા.૧૮ :     ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કોરોના ઇફેકટને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે તા.૧૯મી માર્ચથી તા.૩૧મી માર્ચ સુધી કેસોની સુનાવણી હાથ ધરાશે નહી એટલે કે, હાઇકોર્ટમાં કેસોનું કોઝલીસ્ટ પણ નહી બને કે, મેટરો પણ નોટીફાય નહી થાય. જો કોઇ કેસ માટે અરજન્સી હશે તો વકીલોએ નોટ કે અરજી ફાઇલ કરવી પડશે. જે તે કોર્ટ દ્વારા તેને વિચારણમાં લઇને જો જણાશે કે, અરજન્સી છે તો જ તે મેટર લીસ્ટ થશે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સરકયુલર જારી કરી આ અંગેની તાકીદ કરવામાં આવી છે. જે મેટરો ઓલરેડી તા.૧૯ માર્ચથી તા.૩૧ માર્ચ દરમ્યાન ફિક્સ થયેલી છે, તે હવે આપોઆપ તા.૩૧મી પછી આગળના દિવસોમાં લીસ્ટ થશે. એટલું જ નહી, જે મેટરોમાં સ્ટે કે વચગાળાની રાહત જારી થયેલી છે, તે પણ આપોઆપ એક્ષ્ટેન્ડ થઇ જશે. જે મેટરો ઓફિસ ઓબ્જેકશનમાં હશે તે પણ આપોઆપ તા.૩૧મી માર્ચ સુધી મુલત્વી રાખવામાં આવશે.

           દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા પણ કોરોના વાયરસની અસરો પ્રજામાં ના ફેલાય તેની સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે રાજયભરની તાલુકાથી માંડી તમામ જિલ્લા અદાલતોમાં અરજન્ટ કામો જ હાથ પર લેવા અને તે સિવાયના રેગ્યુલર કેસોમાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવે તે માટે ગુજરાતની તમામ અદાલતોને આદેશ આપવા હાઇકોર્ટના ચીફ જસ્ટસ અને રજિસ્ટ્રાર જનરલને મહત્વની ભલામણ કરાઇ હતી, જેના અનુસંધાનમાં હાઇકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોને તા.૩૧મી માર્ચ સુધી અરજન્ટ સિવાયના રેગ્યુલર કેસોની સુનાવણી નહી કરવા નિર્દેશ જારી કરી દેવાયા છે.

      એટલું જ નહી, ત્યાં સુધી કેસોમાં કોઇ વિપરીત હુકમ કે નિર્દેશ જારી નહી કરવા પણ નીચલી અદાલતોને તાકીદ કરાઇ છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું કે, રાજયની જુદી જુદી કોર્ટોમાં વકીલો-પક્ષકારો મોટી સંખ્યામાં એકત્ર ના થાય અને કોરોના વાયરસને લઇ કોઇ વિપરીત કે ગંભીર અસરો પેદા ના થાય તે હેતુથી જાહેરજનતાના હિત અને આરોગ્યવિષયક બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત બાર કાઉન્સીલ તરફથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રાર જનરલને આ અનુરોધ કરવામાં આવ્યો  હતો. હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજયની નીચલી અદાલતોમાં રેગ્યુલર કે રૂટીન કેસોની સુનાવણી હાથ ધરાતી નથી. વળી, જુદી જુદી કોર્ટોમાં પણ બાર રૂમ, કેન્ટીન, લાયબ્રેરી એક વાગ્યા પછી ખાલી કરી દેવા પણ સૂચના આપી દેવાઇ છે અને તેની અમલવારી પણ શરૂ કરી દેવાઇ છે.

(9:41 pm IST)