Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટમાં ચાલતા પાર્સલ વિવાદનો અંત : 55 કિલોની જગ્યાએ 65 કિલો વજનનું પાર્સલ નક્કી કરાયું

ટ્રાન્સપોર્ટરો અને મજૂરોના વિરોધ બાદ સુખદ સમાધાન : ફોસ્ટા અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો

સુરત ટેક્સ્ટાઈલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પાર્સલ વિવાદનો અંત આવ્યો છે. પાર્સલના વિવાદનો અંત આવતા હવે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભારે પાર્સલ લઈ જઈ શકાશે. ટ્રાન્સપોર્ટરો અને મજૂરો 55 કિલોથી વધુના પાર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં લઈ જઈ શકશે. ટ્રાન્સપોર્ટરો અને મજૂરોના વિરોધ બાદ સુખદ સમાધાન થયું છે. ફોસ્ટા અને ટ્રાન્સપોર્ટર એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

 ટેક્સટાઇલ માર્કેટમાં 55 કિલોથી વધુના ભારે પાર્સલ ઉપાડવા અંગે વિરોધ થયો હતો. વિરોધના પગલે બે દિવસમાં અન્ય રાજ્યોમાં જતી ટ્રકની સંખ્યા 40 ટકા સુધી ઘટી ગઈ હતી. જેથી 80 કરોડના વેપારને ભારે અસર પહોંચી હતી.

 સુરત ફોસ્ટા ટેક્સ્ટાઈલના ડિરેક્ટર રંગનાથ સારદાના જણાવ્યા મુજબ જે પહેલા વધુમાં વધુમાં વજન 55 કિલો સુધીની મર્યાદા નક્કી કરાઈ હતી. પરંતુ વેપારીઓ અને મજૂરો બંનેના હિતોને ધ્યાને રાખી વધુમાં વધુ 65 કિલો વજન નક્કી કરવામાં આવ્યુ છે. જ્યારે અન્ય 5-7 કિલો વધતા ઓછા વજનને ધ્યાને રાખી તો તેની મૌખિકમાં અનુમતી આપવામાં આવી છે.

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં  55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે મજૂરો અને ટ્રાન્સપોર્ટરોનો સતત વિરોધ કરી રહ્યા હતા.  ટ્રાન્સપોર્ટર 55 કિલોથી વધુના માલના લાખો રૂપિયાના પાર્સલ ગોડાઉનથી પરત કરી રહ્યાં હતા. મજૂરો અને ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વેપારીઓએ તેમના લાભ માટે પાર્સલનું વજન વધારી 100 કિલો કર્યું હતુ. જેને લઈને મજૂરોનો વિરોધ સામે આવ્યો હતો. વેપારીઓ પોતાના રૂપિયા બચાવવા મજૂરો પર અત્યાચાર ગુજારતા હોવાનો મજૂરોએ આક્ષેપ કર્યો હતો

(9:05 pm IST)