Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

BRTSમાં જૂના જનમિત્ર કાર્ડને અંતે બંધ કરી દેવાયા

૨૪ ઓગસ્ટ સુધીમાં નવા જન મિત્ર કાઢી અપાશે : ૨૪ ઓગસ્ટ સુધી જૂનાં જનમિત્રકાર્ડને મફતમાં બદલીને નવાં જનમિત્રકાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ

અમદાવાદ, તા.૧૭ : બીઆરટીએસ સેવાનો ઉપયોગ કરનારા ઉતારૂઓ પૈકી અંદાજે ૨૫ થી ૩૦ હજાર ઉતારૂઓ જનમિત્રકાર્ડ ધરાવે છે, જે પૈકી નિયમિત રીતે બીઆરટીએસ કાર્ડને ઉપયોગમાં લેનારા તો માત્ર નવ હજાર ઉતારૂ છે, પરંતુ લાંબા સમયથી ઉતારૂઓ દ્વારા જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ થઇ રહ્યો હોઇ આજથી તંત્ર દ્વારા જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરાયાં છે. જો કે, ઉસ્માનપુરા કચેરી ખાતેથી તા.૨૪ ઓગસ્ટ સુધીમાં નવા જનમિત્ર કાઢી આપવાનું તંત્ર દ્વારા આયોજન કરાયું છે. આમ તો તંત્ર દ્વારા બીઆરટીએસના ઉતારૂઓ માટે નવાં જનમિત્રકાર્ડનું લોન્ચિંગ કરાયું છે. તેમ છતાં અનેક ઉતારૂઓએ પોતાનાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ ચાલુ રાખ્યો છે, જેના કારણે સત્તાવાળાઓ દ્વારા આવા ઉતારૂઓને જૂનાં જનમિત્રકાર્ડના બદલે નવાં જનમિત્રકાર્ડ કઢાવી લેવાની વારંવાર અપીલ કરાતી હતી. તેમ છતાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ અટક્યો ન હતો એટલે આજથી જૂનાંં જનમિત્રકાર્ડને બંધ કરી દેવાયાં છે તેમજ જૂનાં જનમિત્રકાર્ડનો ઉપયોગ આજથી દંડનીય અપરાધ ગણાશે. દરમિયાન સત્તાધીશો દ્વારા ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની કચેરીએ આવેલા બીઆરટીએસના કંટ્રોલરૂમ ખાતે ઓફિસ અવર્સ દરમિયાન આગામી તા. ૨૪ ઓગસ્ટ સુધી જૂનાં જનમિત્રકાર્ડને મફતમાં બદલીને નવાં જનમિત્રકાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ છે, જેમાં જૂનાં જનમિત્રકાર્ડનું બેલેન્સ પણ નવાં જનમિત્રકાર્ડમાં ટ્રાન્સફર કરી અપાશે.  ઉલ્લેખનીય છે કે, તા.૧ લી સપ્ટેમ્બરથી અમ્યુકો તંત્ર ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ પર ડિજિટલ કાર્ડનો નવતર પ્રયોગ અમલી બનાવવા જઇ રહ્યું છે તે પણ નોંધનીય છે.

(7:17 pm IST)